ભાજપના સંસદીય દળની દિલ્હીમાં યોજાયેલી બેઠક દરમિયાન સૌએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતની ચૂંટણીમાં ભાજપને મળેલી ઐતિહાસિક સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા. મોદીએ આ સફળતાનો શ્રેય ગુજરાત ભાજપના અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલને આપ્યો હતો. તેમણે કહ્યું કે અભિનંદન મને નહીં, પાટીલને આપો. તેમણે ક્યારેય ફોટો પણ પડાવ્યો નથી. માત્ર પડદા પાછળ રહીને કામ કર્યું.
ઉલ્લેખનીય છે કે પાટીલને ગુજરાતની ચૂંટણીમાં સ્ટાર પ્રચારક બનાવાયા હોવા છતાં તેમણે પ્રચાર રેલીઓ કરી પ્રસિદ્ધિ લેવાને બદલે ગુજરાતના દરેક જિલ્લામાં બેઠકો કરી સંગઠનને મજબૂત બનાવવાનું કામ કર્યું હતું. જોકે પાટીલે આ મુદ્દે કહ્યું કે, મોદીએ કાર્યકર્તાઓને શ્રેય આપ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પરિણામોના બદલામાં પાટીલને પીએમ નરેન્દ્ર મોદી કોઇ મોટો અને વિશેષ સરપાવ આપી શકે છે. જો કે ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, સી.આર. પાટીલ કોઇ અન્ય પદ લેવાને બદલે ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકે પોતાની ત્રણ વર્ષની આખી ટર્મ પૂર્ણ કરવા માગે છે.
લોકસભાની ચૂંટણી પછી શાહની પ્રસંશા કરી હતી
આ અગાઉ વર્ષ 2014ની લોકસભા ચૂંટણી જીતીને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તે પછી ગુજરાત આવ્યા હતા તે વખતે તેમણે માધ્યમો સાથે વાત કરતા ચૂંટણીના મેન ઓફ ધ મેચ અમિત શાહને ગણાવ્યા હતા. શાહે ઉત્તરપ્રદેશની 80માંથી 73 બેઠકો અપાવી અને કેન્દ્રમાં ભાજપની સરકાર બની તે માટે તેમણે શાહને એક કાર્યકર અને સારા રણનીતિકાર તરીકે વધાવ્યા હતા. તે પછી અમિત શાહને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.