કોરોના દરમિયાન રાજ્યમાં મોટા પાયે ઓક્સિજન, વેન્ટીલેટર, ઇન્જેક્શન અને દવાઓની અછત સર્જાતા હોસ્પિટલોમાં સાધન સુવિધા ઊભી કરવા માટે સરકારે તમામ ધારાસભ્યોને તેમની ગ્રાન્ટમાંથી રૂ. 50 લાખ સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટેનાં સાધનો વસાવવા માટે ફાળવવાના આદેશ કર્યા હતા. હવે એક વર્ષ બાદ સરકારે ધારાસભ્યોને આ નિયમમાંથી મુક્તિ આપી છે.
સરકારે મે 2021માં કોરોનાની સારવારના હેતુ માટે સિવિલ, સરકારી, મ્યુનિ. હોસ્પિટલમાં સાધનો ખરીદવા માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછી 50 લાખની રકમ ફરજિયાત ફાળવવાના આદેશ કરાયા હતા. આ વર્ષની ગ્રાન્ટનાં કામો 1 માર્ચ 2023 સુધીમાં પૂરાં કરીને ચુકવણું કરવાની મુદત નક્કી કરાઈ છે. સરકારે 100 ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરી હોવાથી અને કેસો ઘટતાં ધારાસભ્યોને ફરજિયાત ગ્રાન્ટ ફાળવવાની જોગવાઈમાં છૂટછાટ અપાઈ છે.
કોઈ ધારાસભ્યના મત વિસ્તારમાં આવેલી સરકારી હોસ્પિટલમાં જરૂરી પ્રાથમિક સુવિધા સહિત આવશ્યક સાધનો ઉપલબ્ધ હોય અને વધુ જરૂરિયાત જણાતી ન હોય તેવી સ્થિતિમાં ધારાસભ્યના ફંડની બાકી રહેતી રકમ અન્ય વિકાસના કામો માટે ફાળવી શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.