કોઇપણ વ્યવસ્થામાં નિવૃત્તિએ અફર નિયમ છે. પરંતુ આ નિવૃત્તિ કેટલી માનભેર થાય છે તે તમારા સમગ્ર જીવનકર્મનો સાર છે. સારું કાર્ય કર્યું હોય તો સારી અને યાદગાર વિદાય મળે જ છે. નિવૃત્તિના દિવસે બોલાયેલા શબ્દો નિવૃત્તકર્મી માટે જીવનભરનું સંભારણું બની રહેતું હોય છે. આવી જ એક સામાન્ય પરંતુ જવલ્લે જ જોવા મળતી ઋણાનુબંધની કથની આજે વાસ્તવમાં સાકાર થઇ. માનવીય સંવેદનાને ઉજાગર કરતો આવા જ એક પ્રેરણાદાયી વિદાયનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
વાત છે એક સામાન્ય ડ્રાયવરની કે, જેમણે ઘાટલોડિયા, નારણપુરા, ચાણક્યપુરી વિસ્તારમાં રહેતા અને ગાંધીનગર સચિવાલયમાં નોકરી કરતાં કર્મચારીઓ-અધિકારીઓને સતત ૧૫ વર્ષ સુધી ‘પોઇંટની સોમનાથ થી સચિવાલયની પોઇંટ બસ’ (સરકારી કર્મચારીઓને સચિવાલય પહોંચાડતી બસ) ના સારથી (ડ્રાયવર) બની સમયસર તેમના ગંતવ્યસ્થાને પહોંચાડ્યા છે તેવા ડ્રાયવર ઇલ્યાસભાઇ શેખનું અગાઉ કોઇ ડ્રાયવરનું ન થયું હોય તેવું સન્માન કરીને સમાજ માટે ‘કર્મનું ફળ’ મળે જ છે તેવાં ભારતીય સંસ્કૃતિની ઉક્તિ અને સંસ્કારોને ઝળકાવ્યા હતા.
સચિવાલયમાં રાજ્યભરમાંથી અરજદારો તેમના પ્રશ્નો, ફરિયાદો લઇને સચિવાલય આવતાં હોય છે. તેથી તેમને સમયસર ન્યાય આપી શકાય તે માટે સચિવાલયમાં નોકરી કરતાં અધિકારી-કર્મચારી માટે સમયબધ્ધ રીતે પહોંચવું જરૂરી હોય છે. ઇલ્યાસહુસેન ગુલામહુસેન શેખ કે જેમણે સતત 15 વર્ષ સુધી સરકારી કર્મચારીઓને તાપ, ઠંડી અને વરસાદ તથા ટ્રાફિક જેવા અન્ય ટાળી ન શકાય તેવા સંજોગોમાં પણ ગાંધીનગર સમયસર પહોંચાડ્યા છે.
ઇલ્યાસભાઇ ડ્રાઇવિંગનું પેશન ધરાવતા ડ્રાયવર છે. સામાન્ય રીતે નિવૃત્તિના છેલ્લા મહિનામાં લોકો રજા રાખી લેતા હોય છે. પરંતુ ‘બાબા’ ના નામે ઓળખાતા ઇલ્યાસભાઇ નિવૃત્તિના છેલ્લા દિવસ સુધી નોકરી પર આવવાના છે. તેમની આ ફરજપરસ્તી અને નિયમિતતાની કદર કરતાં ‘સોમનાથ પોઇંટ બસ’ ના ડ્રાયવરનું તેમની નિષ્ઠા માટે યથોચિત સન્માન થવું જોઇએ. તેવા વિચારે આ બસના પ્રવાસી કર્મચારીઓએ તેમનું યોગ્ય સન્માન થાય તેવો વિચાર કર્યો હતો.
આ વિચારને અનુમોદન આપતા આ બસના પ્રવાસી કર્મચારીઓએ ’ફુલ નહીં તો ફુલની પાંખડી’ ના ન્યાયે ફાળો ઉઘરાવીને તેમનું શાલ, સાકરનો પડો, સવા રૂપિયો, ફુલની છડી અને ઉપહાર (ગીફ્ટ) આપીને બસમાં જ તેમનું અને તેમના પરિવારજનોનું સન્માન કર્યું હતું. રાજ્ય સરકાર તો સંવેદનશીલ છે જ. તેના કર્મચારીઓ પણ કેટલા સંવેદનશીલ છે તેની મિસાલ આ નાનકડા પણ સમાજને પ્રેરણા આપી જાય તેવા વિદાય પ્રસંગે કરાવી છે.
ઇલ્યાસભાઇનું સન્માન પણ બસમાં પ્રવાસ કરતાં વરિષ્ટ લોકો કરે તેવી ઉન્નત ભારતીય પરંપરાની પણ વિદાય વખતે કાળજી રાખીને વિદાય આપવામાં આવી હતી.આમ, તો ઇલ્યાસભાઇ તા. 31મી મેના રોજ નિવૃત્ત થઇ રહ્યા છે. પરંતુ નિવૃત્તિની ફોર્માલિટી તેમજ તેમનો પરિવાર પણ આ ઉજળા પ્રસંગે ઉપસ્થિત રહી શકે તે માટે તેમને પુરા સન્માન અને ભવિષ્યની સુખમય સફરની મંગલ કામના સાથે તેમને વિદાય આપવામાં આવી હતી.આ વિદાય પ્રસંગ માટે માહિતી ખાતાના સુનિલ પટેલ, રોજગાર વિભાગના વિરલ શાહ, પે એન્ડ પેન્શન વિભાગના અલ્કેશ ગાંધી, જગદીશ સતાપરા સહિતના કર્મીઓએ જહેમત ઉઠાવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.