ગુજરાત વિધાન સભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાનાં પિતાનું અવસાન થતાં આજે શુક્રવારે ગાંધીનગર ખાતે સ્વર્ગસ્થનું બેસણું યોજવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ, કાર્યકરોએ ઉપસ્થિતિ રહી સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષ નેતા સુખરામ રાઠવાના પિતા હરીયાભાઈ રાઠવાનું અવસાન થતાં છોટા ઉદેપુરનાં કવાંટ તાલુકાના જામલી ગામે સ્વર્ગસ્થનું બેસણું ગઈકાલે યોજવામાં આવ્યું હતું. આ દુઃખદ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના વ્યસ્ત કાર્યક્રમ પડતાં મૂકીને સ્વર્ગસ્થના બેસણામાં જઈને વિરોધ પક્ષના નેતાને સાંત્વના પાઠવી હતી.
આ દુઃખદ પ્રસંગે બેસણામાં હાજર કોંગ્રેસી પીઢ નેતા અને છોટા ઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પણ મુખ્યમંત્રીની ઉપસ્થિતિને બિરદાવી હતી. તેમણે કહ્યુ હતું કે મુખ્યમંત્રીએ પોતાના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે વિરોધ પક્ષના નેતાના પિતાના બેસણામાં હાજરી આપી છે.
તો આજે ગાંધીનગર મુકામે પણ વિરોધ પક્ષના નેતાના પિતાનું બેસણું રાખવામાં આવ્યું હતું. કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ પણ હાજરી આપી સ્વર્ગસ્થની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દુઃખદ પ્રસંગે કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો તેમજ નજીકના સગા સંબંધીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.