જિલ્લાની 23 પ્રાથમિક શાળાઓના જર્જરીત ઓરડાઓને તોડી પાડવાની મંજૂરી જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે શાળાના જર્જરીત ઓરડા તોડી પાડતા પહેલાં વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય અટકી પડે નહી તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રહેશે સહિતના નિર્ણય લેવામાં આવ્યા હોવાનું શિક્ષણ સમિતિના ચેરમેને જણાવ્યું છે.
ગાંધીનગર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના મકાનો ચાર દાયકાથી વધુ સમયના થયા છે. ત્યારે શાળાના મકાન બેસવા લાયક છે કે નહી તેની ચકાસણી પણ એન્જિનીયર પાસે કરાવવામાં આવી છે. જેમાં શાળાના ઓરડા જર્જરીત હોવાનો રિપોર્ટ આવ્યો છે. જેને પરિણામે જિલ્લાની 23 સરકારી પ્રાથમિક શાળાઓના જર્જરીત ઓરડાઓને તોડી પાડવાની મંજુરી માટે જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિમાં રજુ કરવામાં આવ્યા હતા. આથી સોમવારે શિક્ષણ સમિતિના ચેરમેને રાજેન્દ્રસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.
જેમાં જિલ્લાના ચારેય તાલુકાની 23 પ્રાથમિક શાળાઓના જર્જરીત ઓરડા તોડી પાડવાની મંજુરી આપવામાં આવી છે. તેમાં ગાંધીનગર તાલુકાની 13, દહેગામ તાલુકાની 8 પ્રાથમિક શાળાઓ જ્યારે માણસા અને કલોલ તાલુકાની એક એક પ્રાથમિક શાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે પ્રાથમિક શાળાઓના જર્જરીત ઓરડા તોડી પાડતા પહેલાં વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય અટકી પડે નહી તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રહેશે. વધુમાં જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી રૂપિયા 10 લાખની ગ્રાન્ટ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્ટેશનરી તેમજ છાપકામના ખર્ચ માટે વાપરવાની મંજુરી આપવામાં આવી હતી. વધુમાં શિક્ષણ સમિતિની બેઠકમાં જિલ્લાની વધુ એક પ્રાથમિક શાળાને મર્જ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.