તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં ખુન, ખુનની કોશિષ, ખંડણી, લૂંટ, સમાજમાં ભય કે આતંકનો માહોલ ઉભો કરનાર અને શરીર સંબંધી ગંભીર પ્રકારના ગુનામાં ગુનો કર્યા બાદ આરોપીઓ ઘણીવાર નાસી જતાં હોય છે અને લાંબા સમય સુધી પોલીસ પકડથી દૂર રહે છે. આવા આરોપીઓને જો સત્વરે શોધીને જેલ હવાલે ન કરવામાં આવે તો ઘણી વખત તેઓ ફરી વખત અન્ય ગુનાઓ કરે તેવી શક્યતા રહેલી હોય છે. ત્યારે રાજ્ય પોલીસ વડા આશીષ ભાટીયાએ સૂચના આપતાં અમદાવાદ શહેરના 140 સહિત 845 ફરાર આરોપીઓને 21 દિવસના ગાળામાં ગુજરાત પોલીસે ઝડપી પાડ્યા છે.
અમદાવાદ શહેર સહિતના ફરાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા
ડ્રાઇવ દરમિયાન ખુન, ખુનની કોશિષ, ખંડણી, લૂંટ, સમાજમાં ભય/આતંકનો માહોલ ઉભો કરનાર તથા શરીર સંબંધી ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવા સૂચના કરેલી. આ ડ્રાઇવ દરમિયાન પ્રથમ 21દિવસમાં જ કુલ-845 આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી છે. જેમાં અમદાવાદ શહેર-140, દાહોદ-64, બનાસકાંઠા-58, અમદાવાદ ગ્રામ્ય-47, પંચમહાલ-ગોધરા-47, વલસાડ-47, વડોદરા શહેર-40, સુરત શહેર-40, જૂનાગઢ-28, કચ્છ-પૂર્વ ગાંધીધામ-24 નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે. તેમજ આ ખાસ ઝુંબેશ દરમિયાન રાજ્યમાં નાસતા ફરતા આરોપીઓ વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ 70 મુજબ કુલ-155 આરોપીઓ વિરૂધ્ધ વોરંટ કઢાવેલું છે તથા સી.આર.પી.સી. કલમ-82 મુજબ કુલ-19 આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવેલી છે.
નાસતા ફરતા આરોપીઓને પકડવા રાજ્ય પોલીસ વડાનો આદેશ હતો
રાજ્ય પોલીસ વડા આશીષ ભાટીયા દ્વારા હાલમાં નાસતાં ફરતાં આરોપીઓને પકડવા અંગેની કામગીરીની સમીક્ષા કરવામાં આવતાં, રાજયમાં આવા ઘણા આરોપીઓ ફરાર હોવાનું ધ્યાને આવેલું હતું. જેથી આ બાબતને ગંભીરતાથી લઇને, આવા આરોપીઓને પકડી પાડવાની કામગીરી તાત્કાલીક સતેજ કરવા ડી.જી.પી.એ પોલીસ વિભાગને સૂચના આપવામાં આવી હતી. આ અનુસંધાને રાજ્યભરમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા 10/01/2021 થી 09/02/2021 સુધી એમ એક માસની એક સ્પેશ્યિલ ડ્રાઇવ પણ તમામ જિલ્લા/શહેરની પોલીસને સી.આઇ.ડી. (ક્રાઇમ) દ્વારા આપવામાં આવેલી હતી.
35 વર્ષથી લઈને 14 વર્ષથી ફરાર આરોપીને પકડી પાડ્યા
નોંધપાત્ર છે કે આ ડ્રાઇવ દરમિયાન આણંદ જિલ્લા દ્વારા ખૂન સાથે ધાડ જેવા ગંભીર ગુનામાં છેલ્લા 26 વર્ષથી નાસતો ફરતો મધ્યપ્રદેશનો આરોપી ગોરસિંહ હીરકા પારઘીને પકડી પાડેલો છે. તેવી જ રીતે જામનગર જિલ્લા દ્વારા છેલ્લા 10 વર્ષથી ખૂનના ગુનામાં નાસતો ફરતો આરોપી પકડી પાડેલો છે. સુરત શહેર દ્વારા છેલ્લા 20 વર્ષથી ખૂનના ગુનામાં નાસતો ફરતો આરોપી મૂળેશ્વર રામજીયાવન વર્મા અને એન.ડી.પી.એસના એકથી વધુ ગુનામાં સંડોવાયેલા આરોપી કાલિયા પિતામ્બર પ્રધાનને પકડી પાડવામાં આવેલો છે. તેમજ બનાસકાંઠા જિલ્લા દ્વારા 35 વર્ષથી વોન્ટેડ એક આરોપી અને એક 14 વર્ષથી ફરાર આરોપીને પકડી પાડવામાં આવેલો છે. પંચમહાલ જિલ્લા દ્વારા છેલ્લા 25 વર્ષથી આઇ.પી.સી. કલમ-393, 395, 397ના ગુનાનો આરોપી પકડી પાડવામાં આવેલો છે.
ગયા વર્ષે પણ સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ હતી
આ અગાઉ વર્ષ 2020માં તા.05/02/2020થી 14/02/2020 દરમિયાન 10 દિવસની નાસતા ફરતા આરોપીઓ પકડવાની ડ્રાઇવમાં કુલ-149 આરોપીઓ પકડી પાડવામાં આવેલા. હાલમાં પણ કુલ-845 આરોપીઓને પકડી પાડવામાં આવેલા છે. આ ડ્રાઇવ તા.09/02/2021ના પૂર્ણ થનાર હતી. પરંતુ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને અનુલક્ષીને, ચૂંટણી દરમિયાન આવા નાસતા ફરતા આરોપીઓ કોઇ વધુ ગુના ન કરે તે સુનિશ્ચિત કરવા રાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયા દ્વારા આ ડ્રાઇવને હજુ વધુ લંબાવવા નિર્ણય કરવામાં આવેલો છે. જેથી ચાલુ માસમાં પણ નાસતા ફરતા આરોપીઓને શોધવાની ઝુંબેશ સખ્તાઇથી ચાલુ રહેશે.
ગુજરાતના પાડોશી રાજ્યોમાં નાસી છૂટેલાને પકડવા એક્શન પ્લાન
ખાસ કરીને જે આરોપીઓ ગુજરાત રાજ્યને અડીને આવેલા રાજસ્થાન, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ભાગી ગયા છે, તેવા આરોપીઓને ત્યાંની સ્થાનિક પોલીસની મદદ લઇને શોધી કાઢવા ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવેલો છે. આ માટે ગુજરાતના સરહદી જિલ્લાઓના રેન્જ આઇ.જી.પી. દ્વારા ગુજરાતની સરહદને અડીને આવેલા રાજ્યના જિલ્લાઓના આઇ.જી.પી. સાથે પણ આ માટે ખાસ મિટિંગ કરીને સંકલન કરવામાં આવેલું છે. ખાસ કરીએ ગોધરા રેન્જ આઇ.જી. દ્વારા મધ્યપ્રદેશના ગોધરા અને વડોદરા વિસ્તારને અડીને આવેલા અલીરાજપુર અને ઝાબુઆ જિલ્લાઓના આઇ.જી. સાથે બેઠક કરીને મધ્યપ્રદેશમાં છુપાયેલા આરોપીઓ શોધી કાઢવા સંકલન કરેલું છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.