ઉર્જા રાજ્ય મંત્રી મુકેશ પટેલના જણાવ્યા પ્રમાણે પર્યાવરણના જમીનની સાથે ઉર્જાનું ઉત્પાદન થાય એ આશયથી રાજ્ય સરકારે પુન:પ્રાપ્ય ઉર્જાને પ્રાધાન્ય આપીને સમયબદ્ધ આયોજન કર્યું છે. જેને પરિણામે રાજ્યની પુનઃપ્રાપ્ય ઉર્જાની સ્થાપિત ક્ષમતા 18764.40 મેગાવોટ સાથે દેશમાં મોખરે છે. દેશની સરખામણીએ 15.3 ટકા જેટલી છે. રાજ્યની પુનઃપ્રાપ્ય ઉર્જાની સ્થાપિત ક્ષમતાની ટકાવારી પૈકી પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા 52 ટકા અને સૌરઊર્જા 46 ટકા જેટલી ક્ષમતા રાજ્યમાં છે.
સૌર ઊર્જા પ્રોજેક્ટ હેઠળ 8640 મેગાવોટ
આજે વિધાનસભા ખાતે રાજ્યની પુનઃપ્રાપ્ય ઊર્જાની સ્થાપિત ક્ષમતા પ્રત્યુતરમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત અંતર્ગત પવન ઊર્જા પ્રોજેક્ટ હેઠળ 9712.06 મેગાવોટ, સૌર ઊર્જા પ્રોજેક્ટ હેઠળ 8640 મેગાવોટ, વિન્ડ સોલાર હાઇબ્રીડમાં 238.94 મેગાવોટ, બાયો માસમાં 81.55 મેગાવોટ, સ્મોલ હાઇડ્રો પાવરમાં 82.15 મેગાવોટ અને વેસ્ટ 3 એનર્જીમાં 7.50 મેગાવોટ મળી કુલ 18,764.40 ક્ષમતા રાજ્યમાં ઉપલબ્ધ છે.
દેશના અર્થતંત્રની કાર્બન ઈન્ટેસિટી 45 ટકા જેટલી ઘટાડશે
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી અભિગમ થકી કેન્દ્ર સરકાર દ્વારા પંચામૃત સંકલ્પના આધારે પુનઃપ્રાપ્ય ઊર્જાને પ્રોત્સાહન આપવામાં આવે છે. ભારત વર્ષ 2030 સુધીમાં પુનઃપ્રાપ્ય ઊર્જા મારફતે 500 ગીગા વોટની સ્થાપિત ક્ષમતા હાંસલ કરશે. તે પૈકી ગુજરાતે વિવિધ તબક્કાવાર અંદાજિત 90થી વધુ ગીગાવોટની ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્ય નિયત કરાયો છે. ઉપરાંત ભારતે વીજ ઊર્જાની જરૂરિયાત માટે કુલ સ્થાપિત ક્ષમતા પૈકીના 50 ટકા સ્થાપિત ક્ષમતા પુન: પ્રાપ્ય ઊર્જા મારફતે પૂર્ણ કરાશે. જેમાં ગુજરાત પણ વર્ષ 2030 સુધીમાં આ લક્ષ્યાંક પૂર્ણ કરશે. દેશમાં પ્રોજેક્ટ કાર્બન એમિશન પૈકી 1 બિલિયન ટનનો ઘટાડો કરાશે. દેશના અર્થતંત્રની કાર્બન ઈન્ટેસિટી 45 ટકા જેટલી ઘટાડશે.
2030 સુધીમાં નેટ ઝીરોનો લક્ષ્યાંક હાંસલ કરાશે
મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, ભારતની વર્ષ 2030 સુધીમાં નેટ ઝીરોનો લક્ષ્યાંક હાંસલ કરાશે. નેટ ઝીરો એટલે કે કોઈ પણ કંપની 100 ટન કાર્બન ઉત્સર્જન કરે તો તેની સામે વૃક્ષો વાવીને અથવા કાર્બન કેપ્ચર કરે અથવા રીન્યુએબલ એનર્જીની સ્થાપના કરી નેટ ઝીરો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ભળતો અટકાવે એ માટે પણ પ્રાધાન્ય આપી આયોજન કરાશે.
જેડા દ્વારા વિકાસકારને હાઇબ્રીડ પ્રોજેક્ટ આપવાની મંજૂરી
વીન્ડ સોલાર હાઇબ્રીડ યોજનાની મંજૂરી અને વીન્ડ સોલાર હાઇબ્રીડ પ્રોજેક્ટ ક્યા જિલ્લામાં કાર્યરત છે એવા પૂરક પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીએ જણાવ્યું હતું કે, વીન્ડ સોલાર હાઇબ્રીડ પ્રોજેક્ટની મંજૂરી માટે નોડલ એજન્સી તરીકે જેડાને નિયત કરાઈ છે. વીન્ડ સોલાર હાઇબ્રીડ પ્રોજેક્ટના વિકાસકારો દ્વારા જેટકો પાસેથી આ પ્રોજેક્ટ દ્વારા થનાર વીજ ઉત્પાદનને સહાય કરવા માટેની મંજૂરી તથા હાઇબ્રિડ પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવામાં આવનાર જમીનનો કાયદેસરનો કબજો મેળવી નિયત કરવા અરજીપત્રકમાં અરજી કરવા જેડા દ્વારા વિકાસકારને હાઇબ્રીડ પ્રોજેક્ટ આપવાની મંજૂરી આપવામાં આવે છે.
જામનગરમાં 55.50 મેગાવોટની ક્ષમતા
વધુમાં જણાવ્યું હતું કે, આવા વિન્ડ સોલાર હાઇબ્રીડ પ્લાન્ટની રાત-દિવસ વીજ ઉત્પાદન થાય છે અને વીન્ડ સોલાર હાઇબ્રીડ વિકાસને પ્રોત્સાહન આપવાથી વીજ વિતરણ માળખાનો પણ શ્રેષ્ઠ અને કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકાય. આ પાવર પોલિસી હેઠળ અત્યાર સુધીમાં 238.88 મેગાવોટ કેપીસિટીના હાઇબ્રીડ પ્રોજેક્ટ કાર્યરત થયા છે. જેમાં મોરબીમાં 133.70 મેગાવોટ, જામનગરમાં 55.50 મેગાવોટ, અમરેલીમાં 22.50 મેગાવોટ અને રાજકોટમાં 27.18 મેગાવોટની ક્ષમતા છે.
હાઇડ્રો પાવરમાં 116.06 મેગાવોટના 24 પ્રોજેક્ટ
રાજ્યમાં હાઇડ્રો પાવર જનરેશનની શક્યતાઓ અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં મુખ્યત્વે નર્મદા પ્રોજેક્ટની નહેરોનું નેટવર્ક છે, આ નેહરો ઉપરના ડ્રોપ ઉપર સામેલ હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી પ્રોજેક્ટ દ્વારા સ્વચ્છ અને પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદન કરવાનો અમારો ધ્યેય છે. આવા પ્રોજેક્ટ દ્વારા વીજળીનું ઉત્પાદન પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના થઈ શકે છે. રાજ્યમાં સૌપ્રથમવાર સ્મોલ હાઇડ્રોપાવર પોલિસી વર્ષ 2005થી અમલી બનાવી છે. ત્યારબાદ બીજી પોલીસી વર્ષ 2016થી અમલી છે. આ સ્મોલ પ્રોજેક્ટ હેઠળ રાજ્યમાં 116.06 મેગાવોટની ક્ષમતાવાળા 24 પ્રોજેક્ટ નોંધાયા છે. તે પૈકી 82.15 મેગાવોટની ક્ષમતા ધરાવતા 18 પ્રોજેક્ટ કાર્યાન્વિત થયા છે. જ્યારે 33.91 મેગાવોટની ક્ષમતા ધરાવતા 6 પ્રોજેક્ટ અમલીકરણ હેઠળના વિવિધ તબક્કે છે.
કેન્દ્રમાંથી 51.73 લાખ કો-વેક્સિનના ડોઝ ઉપલબ્ધ કરાયા
ગુજરાત વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પૂછાયેલ કોવેક્સિનના પ્રશ્ન સંદર્ભે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં 8 મહિનામાં પ્રિ-કોશન ડોઝ માટે કો-વેક્સિનના 41 લાખ ડોઝની માગણી સામે કેન્દ્ર સરકાર દ્વારા 51.73 લાખ ડોઝ ગુજરાતમાં ઉપલબ્ધ કરાયા છે. રાજ્યમાં હાલ કોવિશિલ્ડ અને કો-વેક્સિનના મળીને કુલ 25 હજાર ડોઝ કોલ્ડ સ્ટોરેજમાં સુરક્ષિત છે. જેને 31-3-2021 સુધીમાં સફળ રસીકરણ દ્વારા લોકોને ઉપલબ્ધ કરાવીને કોરોના સામે સુરક્ષિત કરવામાં આવશે.
26 ફેબ્રુઆરી સુધીમાં 11,75,33,270 ડોઝ અપાયા
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની રસીના સફળ રસીકરણ અભિયાનના પરિણામે જ આજે આપણું રાજ્ય કોરોના સામે સુરક્ષિત છે. વિશ્વના અન્ય દેશોમાં કોરોનાની ત્રીજી લહેર સામે ઝઝુમી રહ્યા હતાં ત્યારે ભારત દેશ અને ગુજરાતમાં થયેલ સફળ રસીકરણના પરિણામે જ આપણે સુરક્ષિત રહી શક્યાં છીએ. 26-02-2023ની સ્થિતિએ ગુજરાત રાજ્યને કુલ 9,45,95,400 ડોઝ કોવિશિલ્ડ, 1,86,16,370 ડોઝ કોવેક્સિન અને 43,21,500 ડોઝ કોર્બેવેક્શ મળીને કુલ 11,75,33,270 ડોઝ કોવિડ-19 રસીના મળ્યા છે. જેનુ સફળ રસીકરણ રાજ્યમાં થયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.