હાલમાં પ્રાથમિક શાળામાં ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે અંતરીયાળ વિસ્તારમાંથી દુરથી આવતા બાળકોને મધ્યાહન ભોજન નહી મળતા ભૂખ્યા રહેવું પડે છે. આથી ધોરણ-1થી 8ના બાળકો માટે મધ્યાહન ભોજન શરૂ કરવા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે માંગણી કરી છે. કોરોનામાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરની ધોરણ-1થી 8ની શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે. જોકે શાળાઓમાં હાલમાં કોવિડની ગાઇડ લાઇન મુજબ 50 ટકા જ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે છે.
ઉપરાંત શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ઓફ લાઇન શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે હાલમાં શાળાઓમાં વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન આપવામાં આવતું નથી. જેને પરિણામે અંતરિયાળ વિસ્તારમાંથી આવતા બાળકો શાળામાં આવવા માટે સવારે 10 કલાકે ઘરેથી નિકળી જતા હોય છે. ઉપરાંત બાળકોના વાલી સવારથી જ ધંધા, રોજગાર અને મજુરી માટે નિકળી જતા હોય છે. ઘરે રહેતા બાળકો ઘણી વખત ભૂખ્યા જ શાળામાં આવતા હોય છે. ત્યારે આવે બાળકોની હાલત કફોડી બની રહે છે.
આથી આવા બાળકોને આખો દિવસ ભૂખ્યા રહેવું પડે છે. ત્યારે ભૂખ્યા બાળકોને ભોજન મળી રહે તે માટે મધ્યાહન ભોજન આપવામાં આવે તો જઠરાગ્નિ સંતોષાય જરૂરી છે. ત્યારે અંતરિયાળ વિસ્તારમાંથી આવતા આવા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને શાળાઓમાં મધ્યાહન ભોજન શરૂ કરવામાં આવે તેવી માંગણી સાથે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઇ પટેલે મધ્યાહન ભોજન યોજનાના કમિશનરને લેખિત રજુઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.