રાજ્ય સરકાર દ્વારા કોરોના કાળના કારણે બંધ કરવામાં આવેલી વૃદ્ધો માટેની શ્રવણ તીર્થ યોજના નાણાંકીય વર્ષ પૂર્ણ થાય એ પહેલાં પુનઃ ચાલુ કરવા માટે માણસા પ્રજાપતિ સમાજ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા 60 વર્ષથી ઉપરના વૃદ્ધોને વિવિધ યાત્રાધામોનાં દર્શન કરાવવાની નિઃશુલ્ક શ્રવણ તીર્થ દર્શન યોજના તરતી મૂકવામાં આવેલી છે. પરંતુ કોરોના કાળના કારણે આ યોજના બંધ કરી દેવામાં આવી છે. હવે જયારે કોરોનાનો કપરો કાળ પૂર્ણ થઈ ચૂક્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા મોટાભાગના નિયંત્રણો ઉઠાવી લેવામાં આવ્યા છે. જોકે, હજી સુધી સરકાર દ્વારા ઉપરોક્ત યોજનાને પુનઃ કાર્યરત કરવામાં આવી હતી.
જે અન્વયે માણસા પ્રજાપતિ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને માંગણી કરવામાં આવી છે કે, સરકાર દ્વારા ગુજરાતના વરિષ્ઠ નાગરિકો માટે યાત્રાધામોનાં દર્શન અર્થે નિઃશુલ્ક શ્રવણ તીર્થ દર્શન યોજના અંગેના ઠરાવ કરવામાં આવેલા છે.
આ યોજના થકી 60 વર્ષથી ઉપરના વયના વડીલો ગુજરાતના યાત્રાધામોનાં નિઃશુલ્ક દર્શન કરી શકતા હતા. પરંતુ કોરોનાના કારણે આ યોજના બંધ કરી દેવામાં આવી હતી. છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીના કારણે વરિષ્ઠ નાગરિકો પણ તીર્થ દર્શન કરી શક્યાં નથી. હવે જયારે કોરોનાના નિયંત્રણો સરકારે ઉઠાવી લીધા છે. ત્યારે ફરીવાર આ યોજનાનો લાભ વડીલોને આપવો જોઈએ.
આ યોજનાનો લાભ નાણાંકીય વર્ષમાં એક જ વખત સરકાર દ્વારા આપવામાં આવતો હોય છે. 15મી માર્ચે પહેલા આ યોજના ફરી શરૂ થઈ જાય તો ચાલુ નાણાંકીય વર્ષની યોજનાનો લાભ વડીલોને મળી શકે એમ છે. જેથી મુખ્યમંત્રીને પત્ર લખીને આ યોજના સત્વરે શરૂ કરાય તેવી માણસા પ્રજાપતિ ટ્રસ્ટ દ્વારા માંગણી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.