કોરોના મહામારી વચ્ચે લોકડાઉન-5માં કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર મોટાભાગના વેપાર-ધંધામાં છૂટછાટ આપી દીધી છે. પરંતુ હજુ સુધી શાળા-કોલેજો શરૂ કરવા બાબતે કોઇપણ જાહેરાત કરવામાં આવી નથી. બીજી તરફ રાજ્યની તમામ શાળાઓમાં 7 જૂનથી ઉનાળાનું વેકેશન પણ પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે હજુ સરકાર તરફથી 8 જૂન બાદ વેકેશન લંબાશે કે કેમ તે અંગે કોઇપણ જાહેરાત કરવામાં આવી નથી. જેના કારણે બાળકોના ભવિષ્યને લઈને વાલીઓ ચિંતામાં મુકાયા છે. જોકે આજે શિક્ષણમંત્રીની બેઠક યોજાશે. જેમાં વેકેશન ક્યાં સુધી લંબાશે? નવું સત્ર ક્યારથી શરૂ કરવું અને ઓનલાઈન શિક્ષણ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
ગુજરાતમાં સ્કૂલો ક્યાંરથી શરૂ થશે તે નિર્ણય રાજ્ય સરકાર કરશે
કેન્દ્ર સરકારે લોકડાઉન-5માં જૂન મહિના બાદ સ્કૂલો-કોલેજો શરૂ કરવા બાબતેનો નિર્ણય જે તે રાજ્ય સરકાર પર છોડ્યો છે. જેથી હવે ગુજરાતમાં સ્કૂલો ક્યાંરથી શરૂ કરવી અને વેકેશન ક્યાં સુધી ચાલશે તે નિર્ણય રાજ્ય સરકાર જાહેર કરશે. પરંતુ શિક્ષણ વિભાગ તરફથી હજુ સુધી કોઈ ઠરાવ કે જાહેરાત થઈ નથી. જેના કારણે શાળાઓ તેમજ વાલીઓ મૂંઝવણમાં મુકાયા છે.
વેકેશન ક્યાં સુધી લંબાશે, નવુ શૈક્ષણિક સત્ર ક્યારથી ગણાશે? વાલીઓ મુંઝવણમાં
ગુજરાત બોર્ડના એકેડમિક કેલેન્ડર અનુસાર, ઉનાળુ વેકેશન 7મી જૂને પૂર્ણ થાય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે વેકેશનના સમયગાળામાં પણ ફેરફાર થશે. સામાન્ય રીતે 8 જૂનથી શાળા-કોલેજો શરૂ થઈ જાય છે પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા તે શક્ય નથી. હજુ પણ વેકેશન 1 મહિનો કે તેનાથી વધારે લંબાઈ શકે છે. પરંતુ ક્યાં સુધી લંબાશે, નવુ શૈક્ષણિક સત્ર ક્યાંરથી ગણાશે તેમજ વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહીં અને શિક્ષણના દિવસો પણ ઓછા ન પડે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને નવા સત્રમાં શું કરી શકાય તેની હાલમાં કોઇપણ જાહેરાત થઈ નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.