ગાંધીનગરનાં ગોલવંટા ગામના 61 વર્ષીય ખેડૂતે અગમ્ય કારણોસર મેદરા કેનાલમાં મોતની છલાંગ લગાવી લીધી હતી. ત્યારે આજે સુઘડ નર્મદા કેનાલમાંથી વૃધ્ધની લાશ તરતી હાલતમાં મળી આવતા અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર સુઘડ નર્મદા કેનાલમાં આજે અજાણ્યા પુરુષની લાશ તરતી હોવાની જાણ થતાં અડાલજ પોલીસ મથકના એએસઆઇ સંદીપભાઈ સહિતના સ્ટાફના માણસો કેનાલ ઉપર દોડી ગયા હતા. જ્યારે કેનાલમાં લાશ તરતી જોઈને રાહદારી વાહનચાલકો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.
બાદમાં પોલીસે કેનાલમાંથી લાશ બહાર કઢાવીને આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી હતી. જેનાં પગલે મરનાર ગોલવંટા ગામના 61 વર્ષીય વાસુસિંહ તાનસિંહ પરમાર હોવાનું જાણવા મળ્યું હતું. એ દરમ્યાન મૃતકના સગા વહાલા પણ કેનાલ પર દોડી આવ્યા હતા. અને પોતાના સ્વજન ની લાશ હોવાની ઓળખવિધિ કરી હતી.
આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં વાસુસિંહ પરમાર ત્રણ દિવસ અગાઉ કોઈ કારણોસર મેદરા નર્મદામાં પડ્યા હતા. એ વખતે સ્થાનિક કેટલાક સ્થાનિક લોકોએ વાસુસિંહને કેનાલમાં પડતાં જોયાં હતાં. જેથી પરિવારજનો ત્રણ દિવસથી કેનાલ વિસ્તારમાં તેઓની શોધખોળ કરી રહ્યા હતા. અને આજે વાસુસિંહની લાશ સુઘડ કેનાલમાંથી તરતી હાલતમાં મળી આવી હતી. જેથી હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને લાશનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ પૂછતાંછ ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.