ગત સોમવારે સમીસાંજે ફુંકાયેલા વાવાઝોડા સાથે પડેલા વરસાદને પગલે ઘઉંના પાકમાં અંદાજે 40 ટકા જેટલું નુકશાન થવા પામ્યું છે. જેને પરિણામે પોષણક્ષમ ભાવો નહી મળવાથી હાથમાં આવેલો કોળિયો છીનવાઇ જવાની ચિંતાએ ધરતીપૂત્રોની નિંદર હરામ કરી છે.
શિયાળાની વિદાય અને ઉનાળાના પ્રારંભમાં જ વાવાઝોડા સાથે પડેલાં વરસાદને પગલે ઘઉંના પાકને નુકશાન થવાનો અંદાજો ખેડુતોએ વ્યક્ત કર્યો છે. વાવાઝોડાને પગલે ખેતરમાં તૈયાર થઇ ગયેલો ઘઉંનો પાક આડો પડી ગયો તેમજ તેની ઉપર વરસાદ પડવાથી ઘઉંના દાણામાં ડાઘી પડી જવાની શક્યતા રહેલી છે. ઉપરાંત ઘઉંના દાણા ઉપર સફેદ ડાઘી પડી જવાથી તેના પુરતા પ્રમાણમાં પોષણક્ષમ ભાવો નહી મળવાથી ખેડુતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઇ જવાની ચિંતા ધરતી પૂત્રોની સતાવી રહી છે.
ઉપરાંત જે ખેડુતોએ શિયાળું પાકમાં ઘઉંનું મોડું વાવેતર કરવામાં આવ્યું છે. તેવા કાચા ઘઉંના છોડ વાવાઝોડાના કારણે આડા પડી ગયા છે. આથી આવા ઘઉંનો વિકાસ અટકી જવાથી દાણો નાનો રહેવાની પણ શક્યતા ભારતીય કિસાન સંઘના જિલ્લા મહામંત્રી નરેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે.
જોકે જિલ્લામાં શિયાળુ પાકમાં ઘઉંનું વાવેતર 33000 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 70 ટકા ખેડુતોએ વહેલું વાવેતર જ્યારે બાકીના 30 ટકા જેટલા ખેડુતોએ મોડું વાવેતર કર્યું હતું. આથી વાવાઝોડાના કારણે મોડા કે વહેલા ઘઉંનું વાવેતર કરનાર ખેડુતોને માવઠાને પગલે નુકશાનનો માર સહન કરવાની ફરજ પડશે. આથી વાવાઝોડાની સાથે પડેલા વરસાદને પગલે ઘઉંના પાકમાં અંદાજે 40 ટકા જેટલું નુકશાન થયું હોવાનું ઘઉંનું વાવેતર કરનાર ખેડુતોએ જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.