જિલ્લાના મનપા વિસ્તારમાંથી કોરોનાના નવા ચાર કેસ નોંધાયા છે. તેમાં સરગાસણમાં કોરોનાથી સંક્રમિત મહિલાનો ચેપ પતિ અને પુત્રીને લાગ્યો હતો. જ્યારે સામાજિક પ્રસંગે અમદાવાદ ગયેલા સેક્ટર-29ના પિતા-પુત્રી કોરોનામાં સપડાયા છે. જ્યારે જિલ્લાના ચારેય તાલુકામાંથી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.
પરિવારમાં સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલી વ્યક્તિઓ સંક્રમિતનો ભોગ બનવાના કિસ્સા બની રહ્યા છે. આવા જ કોરોનાના ચાર કેસ શનિવારે નોંધાયા છે. મનપાના આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ સરગાસણમાં રહેતી મહિલા બે દિવસ પહેલાં કોરોનામાં સપડાઇ હતી. હોમ આઇસોલેશન સારવાર લઇ રહેલી પોઝિટીવ મહિલાના સંપર્કમાં 27 વર્ષીય પુત્રી અને 60 વર્ષીય પતિ આવતા બન્નેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવતા હોમ આઇસોલેશન સારવાર લઇ રહ્યા છે. જ્યારે અન્ય બે કેસમાં સેક્ટર-29માં રહેતા 57 વર્ષીય પિતા અને 22 વર્ષીય પુત્રી સામાજિક પ્રસંગે અમદાવાદ ખાતે ગયા હતા.
અમદાવાદથી પરત આવ્યા બાદ પિતા અને પુત્રીને તાવ, ખાંસી અને શરદીની બિમારી થતાં પિતા-પુત્રીએ કોરોનાનો ટેસ્ટનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. આથી પિતા-પુત્રી હોમ આઇસોલેશન સારવાર લઇ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.