ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિવીઝન-નેશનલ ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરના જણાવ્યા અનુસાર 6 કલાકમાં વાવાઝો઼ડાની તીવ્રતા વધે તેમ છે. આગામી 24 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે અને ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધશે. હાલમાં તે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ વેરાવળથી 930 કિલોમીટર દૂર છે. જે 18 મેના રોજ ગુજરાતના દરિયા કિનારે પોરબંદર અને નલીયા આસપાસ બપોરના સમયે ત્રાટકશે. આ પરિસ્થિતિને જોતાં ગાંધીનગરમાં મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને કોર કમિટિની બેઠક શરુ થઈ છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા તાઉ તેની હાલની સ્થિતિ અને આ વાવાઝોડાના સામના માટેની રાજ્ય સરકારની સજ્જતાની સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા માટે આજે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના દરિયા કિનારાના જિલ્લાઓમાં આ સંભવિત વાવાઝોડાની આફતનો ખતરો તોળાઇ રહ્યો છે ત્યારે સમગ્ર વહીવટીતંત્રને યુદ્ધના ધોરણે સજ્જ થઈ આ આવનારી આફતને પહોંચી વળવા આગોતરૂ આયોજન કરવા માર્ગદર્શન આપ્યું હતું તેમજ સંબંધિત જિલ્લાઓએ કરેલી વ્યવસ્થાઓની તલસ્પર્શી માહિતી મેળવી હતી.
મુખ્યમંત્રીએ આ બેઠકની વિગતો આપતાં જણાવ્યું કે, રાજ્યસરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કંન્ટ્રોલ રૂમમાંથી ભારતીય હવામાન વિભાગ, હવામાન શાસ્ત્રીઓ સાથે સતત સંપર્કમાં રહીને ગુજરાતમાં આ સંભવિત વાવાઝોડાની મુવમેન્ટ પર નજર રાખીને યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. ‘ઝીરો’ કેઝ્યુઆલીટીના કોન્સેપ્ટ સાથે રાજ્યમાં સંભવિત વાવાઝોડાથી એકપણ મૃત્યુ ન થાય તેની તકેદારી રાખવા જિલ્લા વહીવટીતંત્રને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
વિજય રૂપાણીએ કહ્યું કે, કચ્છ, દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ અને જામનગર જિલ્લાના વિસ્તારોમાં આ સંભવિત વાવાઝોડાની અસર થશે તેને ધ્યાનમાં રાખીને અત્યારથી જ સમગ્ર વહીવટીતંત્ર સાબદુ થઈ ગયુ છે અને તેમણે પોતે આ જિલ્લાના કલેક્ટરો સાથે ટેલિફોનિક વાત કરીને તેમના જિલ્લાની પરિસ્થિતિ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા આગોતરા આયોજનની વિગતો મેળવી છે.
“કોવિડ-19ની પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઈને રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓ જ્યાં આ વાવાઝોડાની અસર થઈ શકે છે તે જિલ્લાઓમાં સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થાઓ કરવાની સૂચનાઓ આપી છે. એટલું જ નહી ગમે તે સંજોગોમાં ઓક્સિજનનો પુરવઠો અને બીજી જરૂરી સારવાર વ્યવસ્થાઓ સતત જળવાઇ રહે તે માટે આ જિલ્લાના કલેક્ટરોને તાકીદ કરી છે” તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠકમાં સ્પષ્ટપણે કહ્યું કે, કોવિડ-19ની પ્રવર્તમાન સ્થિતિમાં કોવિડ દર્દીઓ અને સંક્રમિતોને સારવાર મળી રહે તેમાં કોઇ રૂકાવટ ન થાય સાથોસાથ આ સંભવિત વાવાઝોડાની સ્થિતિનો પણ આપણે મક્કમતાથી સામનો કરી શકીએ તેવું આયોજન આપણે કર્યું છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યની તમામ હોસ્પિટલોમાં ડી.જી. સેટ તૈયાર રાખવાની સૂચનાઓ આપી છે જેથી વીજપુરવઠો ખોરવાય તો પણ કોવિડ-19ના દર્દીઓને સારવારમાં કોઇ તકલીફ પડે નહી. ઓક્સિજન અને વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહેલા તમામ દર્દીઓ સુરક્ષીત રહે અને જરૂરી જણાય તો તેમને નજીકના જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે તેવું નક્કી કર્યું છે. એડવાન્સ લાઇફ સર્પોટ સિસ્ટમ સાથેની એમ્બ્યુલન્સ અને ICU એમ્બ્યુલન્સ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી શિફ્ટ કરીને જામનગર, રાજકોટ, કચ્છ અને જૂનાગઢમાં સ્ટેન્ડબાય રાખવામાં આવશે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી આ સંભવિત વાવાઝોડાની આફતના સંદર્ભમાં ગુજરાતની સતત ચિંતા કરીને મદદરૂપ થયા છે અને ભારત સરકારે ફાળવેલી NDRFની 24 ટીમ રાજ્યના દરિયાકિનારાના જિલ્લાઓમાં તૈનાત કરી દેવામાં આવી છે. SDRFની પણ 6 ટીમ કાર્યરત કરી દેવાઇ છે ઉપરાંત BSF, પોલીસ, ફાયરબ્રિગેડને પણ સતર્ક અને સજ્જ કરી દેવાયા છે.
રાજ્યમંત્રી મંડળના મંત્રીઓને વિશેષ જવાબદારીઓ સોંપીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આ સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લાતંત્રને માર્ગદર્શન આપવા માટે તાત્કાલિક અસરથી તેમને ફાળવાયેલા જિલ્લાઓમાં પહોંચી જવાની સૂચના આપવામાં આવી છે અને પરિસ્થિતિ પૂર્વવત થાય ત્યાં સુધી જિલ્લાતંત્રનું માર્ગદર્શન કરવા જણાવાયું છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.
તદ્દઅનુસાર, મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ગીરસોમનાથ, જયેશભાઇ રાદડિયા પોરબંદર, જવાહરભાઇ ચાવડા જૂનાગઢ, દિલીપકુમાર ઠાકોર અને વાસણભાઇ આહિર કચ્છ, ધર્મેન્દ્રસિંહ જાડેજા દેવભૂમિ દ્વારકા, કુંવરજીભાઇ બાવળીયા અમરેલી, ગણપતભાઇ વસાવા અને વિભાવરીબેન દવે ભાવનગર, સૌરભભાઇ પટેલ રાજકોટ, યોગેશભાઇ પટેલ મોરબી, આર. સી. ફળદુ જામનગર, કુમારભાઇ કાનાણી સુરત, રમણભાઇ પાટકર વલસાડ, ઇશ્વરભાઇ પરમાર નવસારી અને ઇશ્વરસિંહ પટેલને ભરૂચ તાત્કાલિક અસરથી પહોંચી જવા સૂચનાઓ આપી છે
મુખ્યમંત્રીએ વિવિધ બાબતોની સમીક્ષા કરતા જણાવ્યું કે, દરિયામાં માછીમારી માટે ગયેલા માછીમારોને પરત આવવા ફીશરીઝ વિભાગ અને જે તે જિલ્લાના કલેક્ટરો દ્વારા સૂચના આપવામાં આવી છે એટલું જ નહીં અગરીયાઓ અને સાગરખેડુઓને દરિયામાંથી જમીન-લેન્ડ પર લઈ લેવા દરિયાકાંઠાના જિલ્લાઓનું વહીવટીતંત્ર કાર્યરત થયું છે.
ભારે પવન અને વાવાઝોડાની અસરના કારણે દરેક સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં બારી, બારણાં, કાચ કે ટેમ્પરરી સ્ટ્રક્ચરને નુકસાન ન પહોંચે તે રીતે વિન્ડ પ્રૂફિંગ કરવાની સૂચના આપી છે. ઊંચી ઇમારતોના થઈ રહેલા બાંધકામ તેમજ ભયજનક હોડિંગ્સ ભારે પવનને કારણે પડી ન જાય તે માટે સૌરાષ્ટ્રની તમામ મ્યુનિસિપાલીટીના ઇજનેરોને ધ્યાન રાખવા સૂચવ્યું છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે કોમ્યુનિકેશન નેટવર્ક, રોડ-રસ્તા અને વીજપુરવઠો સતત જળવાઇ રહે અને આ સંભવિત વાવાઝોડામાં વૃક્ષો પડી જવાથી કે અન્ય રીતે તેને અસર થાય તો તે ઝડપથી પૂર્વવત કરી શકાય તથા ઓક્સિજન સહિતના અન્ય જરૂરી પુરવઠાના સપ્લાયમાં વિક્ષેપ ન પડે તે માટે માર્ગ અને મકાન, વન વિભાગને તાકીદ કરીને દરેક જિલ્લામાં રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, જે રીતે આ સંભવિત વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે તેને પગલે જો ભારે પવન સાથે વાવાઝોડું આવે તો સમગ્ર વહીવટીતંત્ર તેને પહોંચી વળવા અને ઓછામાં ઓછું નુકસાન થાય તે રીતે સજ્જ રહે તેને ધ્યાનમાં રાખીને આજે ઉચ્ચસ્તરીય બેઠકમાં રિવ્યું કરવામાં આવ્યો છે.
તંત્રને તમામ તૈયારીઓ કરવા સૂચના અપાઈ
રાજ્ય પર આવી રહેલા સંભવિત વાવાઝોડાને લઈને કોર કમિટિની બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણીએ ઝીરો કેઝ્યુઆલીટીના એપ્રોચ સાથે વહિવટી તંત્રને તમામ તૈયારીઓ કરવા માટે સૂચના આપી છે. તે ઉપરાંત કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને જોતાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓ જ્યાં આ વાવાઝોડાની અસર થઈ શકે છે ત્યાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં ગંભીર દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થા પર ભાર મુક્યો છે.દરિયામાં માછીમારો તત્કાલ સુરક્ષિત રીતે પરત ફરે તેવી વ્યવસ્થાઓ કરવા જિલ્લા કલેક્ટરોને મુખ્યમંત્રી રૂપાણીએ સૂચનાઓ આપી છે.
17મીએ અતિ ભારે વરસાદ પડી શકે
વાવાઝોડાની અસરને પગલે ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારમાં તારીખ 16મીથી જ હળવા કે મધ્યમ ઝાપટા - વરસાદ પડશે, તો 17મી તારીખે ગીર સોમનાથ જુનાગઢના કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડી શકે છે.તારીખ 18મીના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તાર જેમ કે, પોરબંદર, દેવભુમી દ્વારકા, જામનગર અને કચ્છમાં અતિભારે વરસાદ પડશે અને દરિયા કિનારે 120થી 150 કીમી પ્રતિ કલાકની ઝઢપે પવન ફુકાઇ શકે છે. વાવાઝોડાનાં પગલે દરુિયાઇ સીમાવર્તી વિસ્તારના માછીમારોને દરિયો ન ખેડવા જણાવાયુ છે.
સૌરાષ્ટ્રમાં 15 એનડીઆરએફની ટીમ તૈનાત કરાશે
સંભવિત વાવાઝોડાની શક્યતાના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખડેવા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને કચ્છમાં 2-2 ટીમ જ્યારે ભાવનગરમાં 1 એનડીઆરએફની ટીમ મોકલવામાં આવશે. જ્યારે કેટલીક ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. અન્ય રાજ્યની 15 જેટલી એનડીઆરએફની ટીમ જામનગર પહોંચી છે અને ત્યાંથી ટીમને અન્ય જિલ્લામાં મોકલવામાં આવશે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં કાંઠાના ગામોને એલર્ટ કરાયા
ભાવનગર, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, જામનગર સહિતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ગામો, કચ્છના ગામો તથા દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભરૂચમાં જિલ્લાના 3 તાલુકા હાંસોટ, જંબુસર અને વાગરાના 29 જેટલા ગામોને એલર્ટ અપાયું છે. સંભવિત તૌકતે વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. ભરૂચ જિલ્લાના 3 તાલુકાના દરિયાકાંઠે આવેલા 29 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલ્ટો
હવામાન વિભાગની આગાહી અનુસાર તાઉ-તે વાવાઝોડા કારણે તા. 16 અને 18 મેના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં દરીયાઈ વિસ્તારના તાલુકા જાફરાબાદ અને રાજુલામાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા અને વાદળ છાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે હાલમા ખેતરમાં ઉભા પાક જેવા કે લસણ, ઉનાળુ બાજરી, ઘાસચારો, શાકભાજી અને કઠોળ વગેરે પાકોમાં ખેડૂતોને સાવચેતી અને સલામતીના પગલા લઈ ખેતી પાકોમાં જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.