ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે નવી બિલ્ડીંગના પાંચમા માળે અચાનક શોટ સર્કિટનાં કારણે આગ ભભૂકી ઉઠતાં કર્મચારીઓ તેમજ દર્દી ઉપરાંત તેમના સગા વહાલામાં દોડધામ મચી જવા પામી હતી. જો કે ફાયર બ્રિગેડ ધ્વારા અગમચેતીનાં ભાગરૂપે મોકડ્રિલ યોજવામાં આવી હોવાનું જાણીને સૌ કોઈના જીવમાં જીવ આવ્યો હતો.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે નવી બિલ્ડીંગના પાંચમા માળે આજે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેનાં પગલે હોસ્પિટલનાં કર્મચારીઓ, દર્દીઓ તેમજ તેમના સગા વ્હાલાનાં જીવ અદ્ધર થઈ ગયા હતા. જેનાં પગલે સિવિલ હોસ્પિટલમાંથી ગાંધીનગર ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવ્યો હતો કે 613 બેડની નવી બિલ્ડિંગનાં પાંચમાં માળે શોટ સર્કિટથી આગ ભભૂકી ઉઠી છે.આ મેસેજ મળતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ફાયર ફાઇટર સાથે ગણતરીની મિનિટોમાં જ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. અને તાત્કાલિક બિલ્ડીંગના પાંચમા માળે આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ત્યારે જાણ થઈ હતી કે અત્રેના રૂમમાં ત્રણ દર્દીઓ દાખલ છે. જેઓને તાત્કાલિક રેસ્કયુ કરીને પાંચમા માળેથી નીચે સહી સલામત ઉતારી ને સિવિલના ઈમરજન્સી વોર્ડમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં સિવિલના કર્મચારીઓ, દર્દીઓ તેમજ તેમના સગાંઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જો કે અગમચેતી પગલાંના ભાગરૂપે ગાંધીનગર ફાયર બ્રિગેડ ધ્વારા મોકડ્રિલ યોજવામાં આવી હોવાની જાણ થતાં સૌ કોઈએ રાહતનો દમ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.