ગાંધીનગરની સેન્ટ્રલ યુનિવર્સિટીની સેકટર - 30 ની હોસ્ટેલમાં પૂર્વ વિદ્યાર્થીએ ત્રણ મહિના અગાઉ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેવાના પ્રકરણમાં પ્રેમિકા અને તેની માતા - ભાઈ વિરુદ્ધ દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરી સેકટર - 21 પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરની સેકટર - 30ની સેન્ટ્રલ યૂનિવર્સિટીની હોસ્ટેલમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેનાર હરિયાણાના યુવકના આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું બહાર આવ્યું હતું .આ મામલે તપાસ કરતી પોલીસને રૂમમાંથી ડાયરી સાથે એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં યુવાને યુનિવર્સિટીની યુવતી સાથેનાં પ્રેમ સંબંધોનો કરૂણ અંત આવતાં આવું પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે હવે આ મામલે મૃતકના ભાઈની ફરિયાદના આધારે સેકટર - 21 પોલીસ મથકના ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
હરિયાણાનાં છજ્જુનગર પલવાવ ખાતે રહેતા મૃતકના ભાઈ રવીન્દ્ર રણદેવ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ મુજબ તે ગાંધીનગરની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં એમ.એનો અભ્યાસ કરે છે. આજ યુનિવર્સિટીમાં તેનો ભાઈ સચિને પણ વર્ષ 2019 થી 2021 દરમ્યાન એમ.એ પાસ કર્યું હતું. જે UGC NETની તૈયારી અર્થે ગાંધીનગરની સેકટર - 30 સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં મિત્રો સાથે રહેતો હતો.
આ યુનિવર્સિટીમાં બંદીતા (રહે. ઉડીસ્સા) નામની યુવતી પણ પીએચડી કરતી હતી. બંદીતા વારંવાર સચિનને હેરાન પરેશાન કરતી રહેતી હતી. જેનાં કારણે સચિન માનસિક રીતે હેરાન થઈ ગયો હતો. ગત તા. 20 નવેમ્બર - 2022ના રોજ બંદીતાએ સચિનને થપ્પડ મારી હતી. આ બાબતે તેણે રવીન્દ્રને ફોન કરીને કહ્યું હતું કે, બંદીતા અને તેની માતા તેમજ ભાઈ લિપુએ કેરિયર બરબાદ કરી નાખી છે. અને ત્રણેય જણાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા છે.
બાદમાં 25મી નવેમ્બરે સચિને એકલતાનો લાભ લઈ સેન્ટ્રલ યુનિવર્સિટીની હોસ્ટેલના ચ ટાઈપ રૂમ નંબર 31/2 માં પંખાએ ચાદર વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસે સચિનની સ્યુસાઇડ નોટ તેમજ લેપટોપ કબ્જે લઈ એફએસએલની મદદ લેવામાં આવી હતી. ત્યારે મૃતકની લૌકિકક્રિયા પૂર્ણ થતાં તેના રવીન્દ્ર ચૌહાણે સેકટર - 21 પોલીસ મથકમાં બંદીતા અને તેની માતા તેમજ ભાઈ લીપુ વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે આઇપીસી કલમ 306,114 અને 506(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.