માણસા શહેરમાં સરદાર પટેલ માર્કેટની બાજુમાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ પંડીત દીન દયાલ શાકમાર્કેનો છેલ્લા ઘણા સમયથી તેનો ઉપયોગ થતો ન હોવાના કારણે પાલિકા દ્વારા તેને બંધ કરવામાં આવ્યું છે. બંધ માર્કેટમાં કેટલાક અસામાજિક તત્ત્વો ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અંદર દારૂ જુગારની પ્રવૃત્તિ કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પાલિકા દ્વારા અવારનવાર અહીં સાફ-સફાઈ કરવામાં આવે છે, તેમ છતાં દેશી દારૂની ઢગલાબંધ કોથળીઓનો કચરો અહીંયાથી નીકળે છે. ત્યારે બાજુમાં જ આવેલી પોલીસ ચોકી અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવું વેપારી વર્ગ ઈચ્છી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ માણસા શહેરના હાર્દ સમા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ માર્કેટની બાજુમાં વર્ષો અગાઉ માણસા નગરપાલિકા દ્વારા છૂટક શાકભાજીનો વેપાર કરતાં ફેરિયાઓ માટે નિશ્ચિત જગ્યા મળી રહે તે હેતુથી પંડીત દિન દયાલ શાકમાર્કેટ બનાવવામાં આવ્યું હતું.
પરંતુ તેના થોડાક જ સમયમાં માર્કેટમાં બેસતા શાકભાજીના વેપારીઓ ધીરે ધીરે ખાલી કરી નીકળી ગયા હતા. જેના કારણે પાલિકાએ આ માર્કેટને બંધ કરી તેમાં પ્રવેશ નિષેધ જાહેર કરી દીધો હતો. તેમ છતાં આ બંધ માર્કેટનો કેટલાક અસામાજિક તત્વો એ દારૂ અને જુગાર માટેનો જાણે કે અડ્ડો બનાવી દીધો હોય તેવી હાલત કરી દીધી છે પાલિકા દ્વારા અહીં અવારનવાર સાફ-સફાઈ કરવામાં આવે છે, તેમ છતાં બીજા દિવસે જ અહીં દેશી દારૂની ખાલી કોથળીઓના ઢગ ખડકાઈ જાય છે.
અવારનવાર અહીં દારૂડિયા અને જુગાર રમનારા તત્વો જાહેર માર્ગ પર ગાળા ગાળી કરતાં પણ જોવા મળે છે અને આ કારણોથી આજુબાજુના વેપારીઓ પણ ત્રાસી ગયા છે. માર્કેટના બાજુમાં જ પોલીસ ચોકી આવેલી છે, તેમ છતાં આ તત્વોને જાણે કે, પોલીસનો પણ કોઈ ડર રહ્યો નથી. ત્યારે હવે પોલીસ અને પાલિકા દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવે તેવું વેપારી વર્ગ ઈચ્છી રહ્યો છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.