પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં એક એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામા નિર્માણાધીન સિગ્નેચર બ્રીજની કામગીરીની પ્રગતિ જોવા દ્વારકા-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમ માડમે પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી ધારાસભ્ય પબુભા સાથે મુલાકાત લીધી હતી. નોંધપાત્ર છે કે, આઝાદી બાદ પ્રથમ વખત ઓખાપોર્ટથી યાત્રાધામ બેટ દ્વારકા ટાપુને જમીનથી જોડવા માટેના ઐતિહાસિક કેબલ સ્ટેડ બ્રિજના કામનો ધમધમાટ હાલ ચાલી રહ્યો છે.
પ્રાકૃતિક વિવિધતાઓ સાથે આસ્થાના પ્રતિક એવા બેટ દ્વારકા ટાપુ સુધી પણ હવે વાહન માર્ગે જઈ શકાશે. અહી શીખ સમુદાય, હવેલી સંપ્રદાય સહિત વિવિધ ભક્ત સમુદાયોના મહત્વના શ્રદ્ધાના ધામો આવેલા છે અને વરસે લાખો યાત્રાળુઓ, પ્રવાસીઓ આવે છે. જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા, ત્યારે જ ઓખાથી બેટ દ્વારકા વચ્ચે દરિયામાં કેબલ સ્ટેડ સિગ્નેચર બ્રિજ બાંધવા પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો અને મહત્વપુર્ણ નિર્માણનો સંકલ્પ કર્યો હતો. ત્યારબાદ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અસરકારક અને ઝડપી સુવિધા સાકાર કરવા રૂ. 962 કરોડનું બજેટ મંજૂર કરીને 3.75 કિલોમીટરના દરિયાઈ અંતરને રોડ માર્ગે જોડવા સિગ્નેચર સ્ટડ બ્રીજ શ્રધ્ધાળુઓ માટે તૈયાર કરાવી રહી છે. વર્ષે 20 લાખથી વધુ શ્રધ્ધાળુ અને બેટ દ્વારકાના 12,000 નાગરીકોની વર્ષોથી આ બ્રીજ માટેની માંગણી સંતોષાઇ હોવાથી આ નિર્માણથી અવર-જવરમાં રાત દિવસ સુગમતા અને સમયની બચત થશે.
3.73 કિ.મી. લંબાઈનો ચાર માર્ગિય કેબલ સ્ટેડ સિગ્નેચર 27.20 મીટર પહોળો બનશે. 2.5 મીટરની ફુટપાથ અને તેના ઉપર સ્ટ્રીટ લાઈટ પણ હશે. ફુટપાથ ઉપર સોલાર પેનલ ફિટ થશે. જેથી છાયડો રહેશે, જેથી જરૂરી જેટલા મેગાવોટ વીજ ઉત્પાદન કરાશે. કેબલને આધાર આપવા બ્રીજમાં 150 મીટર (450 ફુટ) ઉંચા બે પાઈલોન ટાવર બન્યા છે. બ્રીજમાં ઓખા તરફ 309 મીટર, બેટદ્વારકા તરફ 1101 મીટર એપ્રોચની લંબાઈ રહેશે. એપ્રોચના 2.32 કિ.મી. સિવાય 900 મીટરનો હિસ્સો કેબલ સ્ટેન્ડ ઉપર લટકતો બનશે. મોરપિચ્છના ચિન્હ સાથે આ બ્રીજ રાત્રી દરમિયાન લાઈટ એન્ડ સાઉન્ડ શોથી ઝળહળશે.
આ સમગ્ર કામગીરીના ધમધમાટનું બારીકાઇથી નિરીક્ષણ કરી ગુજરાતને મળેલી કેન્દ્રસરકારની મહત્વની અનેક ભેટમાની એક ભેટ સમાન અને સ્ટ્રક્ચરલ અને આર્કીટેક્ટ અને ડેકોરેશનના નમુનેદાર ગણાતા બ્રીજના કામની પ્રગતિ ચકાસીને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદ સભ્ય પૂનમબેન માડમે પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી અને દ્વારકાના ધારાસભ્ય પબુભા બાપુ સાથે આ ખાસ મુલાકાત દરમ્યાન સુદ્રઢ અને ઝડપી કામગીરી કરવા સાથેના જરૂરી રચનાત્મક સુચનો કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.