ભારતના પશ્ચિમ છેવાડે આવેલા ગુજરાતની મુખ્ય તીર્થ સમાન ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકા યાત્રાધામમાં તારીખ 8ના ફુલડોલ ઉત્સવનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશના 8 જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, બરોડા, અમદાવાદ, આણંદ સહિતના જિલ્લામાંથી લાખો પદયાત્રીકો પગપાળા ચાલીને ફાગણ માસની સુદ પૂનમના દિન સુધી દ્વારકા પહોંચ્યા છે. ત્યારે અમદાવાદથી દ્વારકા સુધીનો હાઈવે માર્ગ પદયાત્રીકોથી ઉભરાઈ રહ્યો છે.
ગુજરાત અને સૌરાષ્ટ્રના પદયાત્રીકો માટે ધર્મગ્ય સંસ્થાઓ દ્વારા હાઈવે માર્ગ ઉપર લગાતાર ખાણી-પીણી અને વિશ્રામના સેવા કેમ્પોનો ધમધમાટ જોવા મળ્યો છે. જામનગરથી દ્વારકા સુધી મુખ્યત્વે રિલાયન્સ કંપની જેવી માતબર કંપનીઓએ પણ સેવાના આ યજ્ઞમાં જોડાઈ ગઈ છે.
દ્વારકાધીશના દર્શન માટે આવનારા પદયાત્રીઓ ઉત્સાહમાં છે અને ખાસ કરીને રાત્રિના ઠેર-ઠેર હાઈવે માર્ગ પર ઊભા કરવામાં આવેલા ટેન્ટમાં પદયાત્રિઓ લોકડાયરો, રાસગરબા, ઢાઢીલીલા અને સૌરાષ્ટ્ર ગુજરાતનું ભવ્ય ભાતીગળ લોક સંસ્કૃતિના કાર્યક્રમો યોજી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય અને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પંદરસો પોલીસ કર્મીઓ કુલડોલ ઉત્સવના કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરશે. દેવભૂમિ દ્વારકા જિલ્લા બારથી પણ જિલ્લા પોલીસ વડા દ્વારા વ્યવસ્થા કરાઇ છે.
બંદોબસ્તમાં 5 ડી.વાય.એસ.પી., 15 પી.આઈ., 50 પી.એસ.આઈ. અને પોલીસકર્મી, એસ.આર.ડી., એસ.આર.પી., જી.આર.ડી., સહિતનો પોલિસ સ્ટાફ દ્વારકા અને આસપાસના વિસ્તારમાં વ્યવસ્થા માટે ગોઠવવામાં આવનાર છે. દ્વારકા મંદિરના ઈન્ચાર્જ ડી.વાય.એસ.પી. સમીર સારડાના માર્ગદર્શન હેઠળ મંદિર પરીસરમાં દર્શનાર્થીઓની દર્શન વ્યવસ્થા માટે ખાસ પ્રકારની બેરીકેટીંગ અને યાત્રીકોના અવર જવરની રસ્તાની અલગથી વ્યવસ્થા કરાય છે.
દ્વારકામાં પ્રવેશતા યાત્રિકોને દ્વારકાધીશજીના દર્શન કરાવા માટે ધીરૂભાઈ અંબાણી માર્ગ ઉપર આવેલા કીર્તી સ્તંભના પટાંગણથી પ્રવેશ અપાશે અને યાત્રિકો સુદામાં સેતુ થઈને છપ્પન સીડીના પ્રવેશ દ્વાર ઉપરથી મંદિરમાં પ્રવેશ કરશે અને દર્શન કર્યા બાદ મુખ્ય પ્રવેશ દ્વાર (સ્વર્ગ દ્વાર) ઉપરથી યાત્રિકોએ મંદિરની બહાર નીકળવાનું રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.