દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મહાદેવીય, પિંડારા, રણજીતપુર સહિતના 10 ગામોમાં ભારે વરસાદના કારણે ખેડૂતોએ બે થી ત્રણ વખત કરેલ વાવણી બાદ પાક નિષ્ફળ ગયો હતો. જ્યારે કેટલાક વિસ્તારોમાં ખેડૂતો વાવણી જ કરી શક્યા ન હતા. જેથી આ 10 જેટલા ગામોના ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન ગયું હોવાથી ખેડૂતોએ વધુ વરસાદ બાદ સરકાર સર્વે કરી અને વળતર ચૂકવે તેવી માંગ કરી રહ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના દરિયાઈ વિસ્તારમાં આવેલા પિંડારા, મહાદેવીય, ગાગા, રણજીત પુર, સહિતના 10 જેટલા ગામોમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયેલા હોઈ અને જ્યારે પાણી સુકાય ત્યારે ફરી વરસાદ થતાં મોટાભાગના ખેડૂતો વાવણી ન કરી શક્યા અને કેટલાક ખેડૂતોએ વાવણી કરી ત્યારબાદ પણ સતત વરસાદના કારણે બીજી વખત અને કેટલાક ખેડૂતોએ ત્રણ વખત વાવણી કરી હતી. જેથી વધારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી હાલ ખેતરોમાં પાકના બદલે ઘાસ ઉગી નીકળ્યું છે. જેથી ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આજરોજ નુકશાન ગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો અને ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન સહિત ખેડૂતો એકઠાં થયા હતા.
ખેડુતોના જણાવ્યાનુસાર સરકાર દ્વારા કોઈ પણ સર્વે કરવામાં આવ્યો ન હોઈ તેના કારણે ખેડૂતોને કોઈ પણ જાતનું વળતર મળ્યું નથી. જેના કારણે ખેડૂતો હવે નુકશાનીનું વળતર મળે તેવી માંગ સરકાર પાસે કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.