જામનગર તાલુકાના ધુતારપર(જયપુર)માં રહેતી એક મહિલા ગામના કુવામાં પાણી ભરવા માટે ગયા બાદ કાંઠેથી પાણી ભરતી વેળા નમી જતા અંદર પટકાઇ પડતા ડુબી જવાથી તેનુ મૃત્યુ નિપજયુ હોવાનો બનાવ સામે આવ્યો છે.જયારે દ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં રહેતા એક યુવકે અકળ કારણોસર ગળાફાંસો ખાઇ જીવતર ટુંકાવી લીધાનુ જાહેર થયુ છે.
પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગર તાલુકાના ધુતારપર (જયપુર) ગામે રેહતા કનુબેન સામજીભાઇ મુંધવા (ઉ.વ. 34) નામની મહિલા મંગળવારે સવારે પોતાના ગામના કુવામાંથી પાણી ભરવા માટે ગયા હતા જે દરમિયાન તેણી કાંઠેથી પાણી ભરવા જતા અકસ્માતે નમી જતા કુવામાં પટકાઇ પડયા હતા અને ડુબી જવાથી તેનુ મૃત્યુ નિપજયાનો બનાવ બહાર આવ્યો છે.
આ બનાવની લખમણભાઇ મોમૈયાભાઇ મુંધવાએ જાણ કરતા પંચ એ પોલીસ મથકની ટીમ દોડી ગઇ હતી અને મૃતદેહનો કબજો સંભાળીને પોષ્ટમોર્ટમ કરાવી મૃતકના પરીજનનુ નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ બનાવના પગલે નાના એવા ગામમાં ભારેે અરેરાટી વ્યાપી જવા પામી છે.
જયારે યાત્રાધામ દ્વારકા વિસ્તારમાં આવેલ નવી મસ્જિદ પાસે રૂપેણબંદર ખાતે રહેતા હરેશ બાલુભાઈ પરમાર પોતાની જાતે પોતાના ઘરે દોરી વડે કોઈપણ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતુ. આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.