ભગવાન શ્રીકૃષ્ણની નગરી યાત્રાધામ દ્વારકામાં તા.8મી માર્ચના પરંપરાગત કુલડોલ ઉત્સવ માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, બરોડા, અમદાવાદ, આણંદ સહિત ગુજરાત અને સૌરાષ્ટ્રનાજિલ્લામાં થી લાખો પદયાત્રીકો પગપાળા ચાલીને ફાગણમાસની સુદ પૂનમ સુધી દ્વારકા પહોંચી રહયા છે.
યાત્રાધામ દ્વારકાને જોડતા જુદા જુદા હાઈવેમાર્ગ પદયાત્રીકોથી ઉભરાઈ રહયો છે. ગુજરાત-સૌરાષ્ટ્રના પદયાત્રીકો માટે વિવિધ સંસ્થાઓ દ્વારા હાઈવે માર્ગ ઉપર લગાતાર ખાણી-પીણી અને વિશ્રામના સેવા કેમ્પોનો ધમધમાટ જોવા મળ્યો છે. જામનગરથી દ્વારકા સુધી મુખ્યત્વે રિલાયન્સ કંપની જેવી માતબર કંપનીઓએ પણ સેવાના આ યજ્ઞમાં જોડાઈ ગઈ છે. દ્વારકાધીશના દર્શન માટે આવનારા પદયાત્રીઓ પણ અદમ્ય ઉત્સાહ સાથે રાત્રિના ઠેર-ઠેર હાઈવે માર્ગ પરના ટેન્ટ પાસે લોકડાયરો, રાસગરબા, ઢાઢીલીલા અને સૌરાષ્ટ્ર ગુજરાતનું ભવ્ય ભાતીગળ લોક સંસ્કૃતિના કાર્યક્રમો યોજી રહી છે.
મંદિરના ઈન્ચાર્જ ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ મંદિર પરીસરમાં દર્શનાર્થીઓની દર્શન વ્યવસ્થા માટે ખાસ પ્રકારની બેરીકેટીંગ અને યાત્રીકોના અવર જવરના રસ્તાની વ્યવસ્થા કરાય છે.દ્વારકામાં પ્રવેશતા યાત્રિકોને દ્વારકાધીશજીના દર્શન કરાવા માટે ધીરૂભાઈ અંબાણી માર્ગ ઉપર આવેલા કીર્તીસ્તંભના પટાંગણથી પ્રવેશ અપાશે અને યાત્રિકો સુદામા સેતુ થઈને છપ્પન સીડીના પ્રવેશ દ્વાર ઉપરથી મંદિરમાં પ્રવેશ કરશે અને દર્શન કર્યા બાદ મુખ્ય પ્રવેશ દ્વાર (સ્વર્ગ દ્વાર) ઉપરથી યાત્રિકોએ મંદિરની બહાર નીકળવાનું રહેશે.
જગત મંદિર સહિતના સ્થળે દોઢ હજાર પોલીસ કર્મીઓનો બંદોબસ્ત
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ પંદરસો પોલીસ કર્મીઓ કુલડોલ ઉત્સવના કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરશે.બંદોબસ્તમાં 5 ડીવાયએસપી,15 પીઆઈ, 50 પીએસઆઈ અને પોલીસકર્મી, એસ.આર.ડી., એસ.આર.પી., જી.આર.ડી., સહિતનો સ્ટાફ તૈનાત કરાશે.
શ્રૃંગાર-સંધ્યા આરતીમાં અબીલ ગુલાલની છોળો ઉડી…
દ્વારકાધીશ મંદિરના નિજ મંદિરમાં હોળાષ્ટકના સ્થાપન સાથે જ છેલ્લાં સપ્તાહથી ભગવાન દ્વારકાધીશજીની સન્મુખ આરતીમાં શૃંગાર આરતી સાંજે સંધ્યા આરતી,બપોરના રાજભોગ આરતી સહિતની મહા આરતીમાં ભગવાન દ્વારકાધીશજીને (કાળીયા ઠાકોરને) અબીલ ગુલાલની છોળ સાથે કુલડોલ ઉત્સવને વધાવામાં આવી રહયો છે. દ્વારકાધીશજીને કુલડોલ ઉત્સવ સુધી સફેદ કલરના જ વસ્ત્ર ધરાવવામાં આવી રહયા છે. પૂજારી પરિવાર દ્વારા કુલડોલ ઉત્સવમાં વિશેષ પ્રકારના મનોરથો પણ ઠાકોરજીની સન્મુખ ધરાવવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.