ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર નુકસાન થયું હતું. જિલ્લાના ઘણા ખરા રસ્તાઓને વ્યાપક નુકસાન થયું હતું. સાપુતારા ઘાટ માર્ગમાં પણ લેન્ડ સ્લાઈડ્સના કારણે રસ્તાઓ બંધ કરવા પડ્યા હતા. જેથી વાહનોની અવર જવર બંધ થતાં સાપુતારાના માલેગાંવ ટોલ બુથ અને નાશિક રોડ ટોલ બુથ પર આવક બંધ થઈ હતી. હાલના તબક્કે ફક્ત નાના વાહનો જ જઈ શકે છે મોટા વાહનો માટે રસ્તો હજી પણ બંધ છે. જેને પગલે સાપુતારા નોટીફાઇડ કચેરી દ્વારા માલેગાંવ નાકા તથા નાસિક રોડ પરથી પસાર થતા તમામ વાહન ધારકોને પ્રવેશ કરમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
બંન્ને નાકા પરથી પસાર થતા વાહન ધારકોને કોઈપણ પ્રકારનો પ્રવેશ કર આપવાનો રહેતો નથી
સાપુતારા ખાતે આવતા નાના વાહનોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. નોટિફાઇડ એરિયા કચેરી, સાપુતારા હસ્તકના માલેગાંવ નાકા તથા નાસિક રોડ પરથી પસાર થતા વાહનોની સંખ્યામાં ઘટાડો થયેલો હોવાથી ઇજાદારને આર્થિક નુકશાન થયું છે. ઇજાદારને થયેલ નુકશાનને ધ્યાનમાં લઈ તા.03/08/2022ની રાત્રિના 12 કલાકેથી તા. 02/09/2022ના 23:59 કલાક સુધી ઇજાદારને પ્રવેશ કર (ટોલટેક્ષ) વસુલવામાંથી મુક્તિ આપવામાં આવેલી હોવાથી નોટિફાઇડ એરિયા કચેરી, સાપુતારા હસ્તકના માલેગાંવ નાકા તથા નાસિક રોડ પરથી પસાર થતા તમામ વાહન ધારકોને પ્રવેશ કર (ટોલટેક્ષ) આપવામાંથી મુક્તિ આપવામા આવી છે. જેથી બંન્ને નાકા પરથી પસાર થતા વાહન ધારકોને કોઈપણ પ્રકારનો પ્રવેશ કર (ટોલટેક્ષ) આપવાનો રહેતો નથી, જેની નોંધ લેવા સાપુતાર નોટીફાઇડ કચેરી દ્વારા અનુરોધ કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.