દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે માર્ગ અકસ્મતાના બે બનાવ સામે આવ્યાં છે. જેમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યાં છે. જ્યારે ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દેવગઢ બારીયા તાલુકાના ભુલર ગામે બન્યો હતો. જેમાં લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ગામે રહેતાં અશ્વિનકુમાર તેમની પત્ની મોનીકાબેન તથા પુત્ર મિતેશભાઈ બાઈક લઈ ભુલર ગામેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એક બોલેરો પીકઅપ ગાડીના ચાલકે પોતાની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી અશ્વિનભાઈની મોટરસાઈકલને અડફેટમાં લઈ જાશભેર ટક્કર મારી હતી. જેથી મોટરસાઈકલ પર સવાર ત્રણેય લોકો જમીન પર ફંગોળાયાં હતાં. જેને પગલે અશ્વિનભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું.
આ અકસ્માતમાં અશ્વિનભાઈની પત્ની મોનીકાબેન અને પુત્ર મિતેશને પણ શરીરે ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. આ સંબંધે લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ગામે રહેતાં જેસીંગભાઈ રૂપસીંગભાઈ ડાંગીએ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજો બનાવ દાહોદ તાલુકાના જાલત ગામે ખાન નદીના પુલ પાસે બન્યો હતો. જેમાં મધ્યપ્રદેશના રાણાપુર તાલુકામાં ધામનીમચના, પુજારા ફળિયામાં રહેતાં આશિષભાઈ કાળુભાઈ ડામોર અને ઈશ્વરભાઈ નાનુભાઈ ગુંડીયા એમ બંન્ને જણા મોટરસાઈકલ લઈ જાલત ગામેથી ખાન નદી પાસેથી પસાર થઈ રહ્યાં હતાં. તે સમયે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મોટરસાઈકલને પાછળથી ટક્કર મારી હતી. જેથી મોટરસાઈકલની પાછળ બેઠેલા આશિષભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ નજીકમાં આવેલી ખાન નદીમાં પટકાતાં તેઓનુ મોત નીપજ્યું હતું. જ્યારે ઈશ્વરભાઈને પણ ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.
આ સંબંધે મધ્યપ્રદેશના રાણાપુર તાલુકાના ધામનીમચના, પુજારા ફળિયા ખાતે રહેતાં નાનસિંગભાઈ ખમસીંગભાઈ ડામોરે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.