દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કરંબા ગામે અગાઉના ઝઘડાની અદાવત રાખી 14 જેટલા ઈસમોના ટોળાએ હુમલો કર્યો હતો. ટોળાએ એકસંપ થઈ ગામના જ શખ્સના ઘર તરફ આવી છુટ્ટો પથ્થરો મારી, ઘરના નળીયાની તોડફોડ કરી તેમજ મોટરસાઈકલોની તોડફોડ કરી ભારે ધિંગાણું મચાવતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સંજેલીના કરંબા ગામે ખોબરા ફળિયામાં રહેતા ફુલસીંગ મલાભાઈ માવી, વકલા મલાભાઈ માવી, જોનશન હકલાભાઈ માવી, હસમુખ મલાભાઈ માવી તથા અન્ય ઈસમો મળી કુલ 14 જેટલા લોકો મારક હથિયારો લઈ ગામમાં રહેતાં સુરેશભાઈ મોતીભાઈ માવીના ઘરે ધસી ગયા હતા. તેમજ અગાઉના ઝઘડાની અદાવત રાખી બેફામ ગાળો બોલી ઉશ્કેરાઈ જઈ છુટ્ટા પથ્થરો મારી ઘરના નળીયાની અને મોટરસાઈકલોની તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. જેથી આ સંબંધે સુરેશભાઈ મોતીભાઈ માવીએ સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.