દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખુંટનખેડા ગામે એક સગીરાએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે અન્ય એક સગીરા કોઈને ઘરમાંથી કહ્યા વગર ક્યાંક જતી રહેતાં આ સંબંધે પોલીસમાં જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ઝાલોદ તાલુકાના ખુંટનખેડા ગામે બંગલા ફળિયામાં રહેતી બે સગીરા (1) બિનલબેન શકરીયાભાઈ તથા સુનીતાબેન સુરકાભાઈ આ બંન્ને સગીરાઓ પોતપોતાના ઘરે રાત્રીના સમયે સૂતી હતી. જેમાંથી બિનલબેને અગમ્ય કારણોસર પોતાના ઘરમાં લાકડાના સરા ઉપર પોતાના દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે સુનીતાબેન રાત્રીના સમયે કોઈને કંઈપણ કહ્યા વગર ક્યાંક ચાલી જતાં આ બનાવને પગલે પરિવારજનોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ત્યારે બીનલબેને આત્મહત્યા કયાં કારણોસર કરી અને તેની સાથેની સુનીતાબેન ક્યાં ગુમ થઈ ગઈ હશે? જેવા અનેક સવાલો ગ્રામજનોમાં ઉદ્ભવવા પામ્યાં છે. ત્યારે ઘટનાસ્થળે આવી પહોંચેલી પોલીસે મૃતક બિનલબેનના મૃતદેહને નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ માટે મોકલ્યો હતો. ત્યારે પોલીસે સમગ્ર મામલે ગુમ થયેલા સુનીતાબેનની શોધખોળ પણ આરંભી છે.
આ સંબંધે ઝાલોદ તાલુકાના ખુંટનખેડા ગામે બંગલા ફળિયામાં રહેતા સુરકાભાઈ ટીટાભાઈ ડામોરે લીમડી પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતનો તેમજ ગુમશુદાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.