દાહોદ શહેરમાં કોલેજ ગ્રાઉન્ડ ઉપર સભા પૂર્ણ કર્યા બાદ રાહુલ ગાંધીનો પ્રસંગ પાર્ટી પ્લોટમાં ધારાસભ્યો અને આગેવાનો સાથેની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. સ્વામી વિવેકાનંદ સંકુલમાં આવેલા હોલમાં ધારાસભ્યોની બેઠક બાદ કાર્યકર આગેવાનોની બેઠક પૂર્ણ કર્યા બાદ ત્યાં જ પંડિત દીનદયાલ ઓડિટોરીયમમાં આગેવાનો અને કાર્યકરો સાથે બેઠકનું આયોજન કરાયુ હતું.
સુતરની આંટી હળવેકથી નીચે સરકાવી દીધી
આ બેઠક પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી વીઆઇપી ગેટની સીડીથી નીચે ઉતર્યા હતાં. આ વખતે તેમના ડાબા હાથમાં એક સુતરની આંટી જોવા મળી હતી. નીચે ઉતરતી વખતે તેમણે આ સુતરની આંટી જમણા હાથમાં લઇ લીધી હતી. સીડીની રેલિંગના સહારે ઉતરતાં હોય તેવો ડોળ કરીને હાથમાંની સુતરની આંટી હળવેકથી નીચે સરકાવી દીધી હતી અને નમસ્કાર કહીને પોતાની ગાડીમાં સવાર થઇ ગયા હતાં. જોત જોતામાં આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો હતો.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિવાદમાં સપડાયા
રાજ્યમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની તૈયારીના ભાગરૂપે દાહોદ આવેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિવાદમાં સપડાયા છે. વડોદરા એરપોર્ટ પર શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ બે-બે વાર ખાદી પહેરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રાહુલ ગાંધીએ ખાદીની આંટી પહેરવા આનાકાની કરી હતી. વિધાનસભાની તૈયારી શરૂ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદની મુલાકાત લીધા બાદ મંગળવારે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દાહોદ પહોંચ્યા હતા.
પ્રયાસ છતાં રાહુલ ગાંધીએ આંટી ના પહેરી
તે પૂર્વે તેઓ વડોદરા એરપોર્ટ પર કોંગ્રેસના હોદ્દેદારોને મળ્યા હતા. જ્યાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ તેમને સુતરની આંટી પહેરાવવા પ્રયાસ કર્યો હતો. બે-બે વાર પ્રયાસ છતાં રાહુલ ગાંધીએ આંટી પહેરી ન હતી. ભાજપના પ્રદેશ પ્રવક્તા અને પૂર્વ મેયર ભરત ડાંગરે સોશિયલ મીડિયા પર વીડિયો મૂકતાં લખ્યું કે, મહાત્મા ગાંધીની અટક ધારણ કરીને વર્ષો સુધી જે પરિવારે દેશ પર હકુમત ચલાવી તેના ફરજંદને પૂજ્ય બાપુની પ્રિય ખાદીની આંટી પહેરવામાં પણ તકલીફ છે? તે પણ ગુજરાતમાં? રાહુલ ગાંધીના રેલિંગ પર સૂતરની આંટી છોડી મૂકવાના વીડિયો પર લખતાં ભરત ડાંગરે જણાવ્યું કે, સત્તા માટે ગાંધીજીની અટક ધારણ કરનારના ફરજંદે બાપુની પ્રિય સુતરની આંટી પહેરી તો નહીં, પરંતુ પગથિયા પર ફેંકીને બાપુનું અપમાન કર્યું છે. સત્તા લાલચુ કોંગ્રેસ માફી માગે.
ભાજપને દુઃખે છે પેટ અને કૂટે છે માથું, દાહોદમાં મળેલો જનપ્રતિસાદ પચતો નથી
દાહોદમાં સત્યાગ્રહ રેલીમાં આદિવાસી તથા અન્ય સમાજ જે રીતે જોડાયો અને જે સફળતા મળી તે ભાજપના લોકોથી જોવાતું નથી. જેમણે ટ્વિટ કર્યું છે તેમને વડોદરા ભાજપમાં કોઈ પૂછતું નથી, તેમની પાસે કોઈ હોદ્દો નથી. માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે સ્ટેટમેન્ટ આપ્યું છે. ગોડસેની ભક્તિ કરનારા અમને બાપુ વિશે સૂચન ન આપે. - ઋત્વિજ જોષી, પ્રમુખ, શહેર કોંગ્રેસ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.