રાજ્યમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની તૈયારીના ભાગરૂપે દાહોદ આવેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિવાદમાં સપડાયા છે. દીનદયાળ ઓડિટોરિયમમાં આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી વીઆઇપી ગેટની સીડીથી નીચે ઊતર્યા હતા. આ વખતે તેમના ડાબા હાથમાં એક સૂતરની આંટી જોવા મળી હતી. નીચે ઊતરતી વખતે તેમણે આ સૂતરની આંટી જમણા હાથમાં લઇ લીધી હતી. જ્યાં તેમણે હાથમાંની સૂતરની આંટી હળવેકથી નીચે સરકાવી દીધી હતી અને નમસ્કાર કહીને પોતાની ગાડીમાં સવાર થઇ ગયા હતા. જોતજોતાંમાં આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો હતો.
દાહોદ શહેરમાં કોલેજ ગ્રાઉન્ડ પર સભા પૂર્ણ કર્યા બાદ રાહુલ ગાંધીની ધારાસભ્યો અને આગેવાનો સાથેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સ્વામી વિવેકાનંદ સંકુલમાં આવેલા હોલમાં ધારાસભ્યોની બેઠક બાદ કાર્યકર-આગેવાનોની બેઠક પૂર્ણ કર્યા બાદ ત્યાં જ પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં આગેવાનો અને કાર્યકરો સાથે બેઠકનું આયોજન કરાયું હતું, જ્યાં નીચે ઊતરતી વખતે સૂતરની આંટી પાઇપ પર સરકાવી દેતાં તેઓ વિવાદમાં સપડાયા છે.
બેવાર પ્રયાસ છતાં રાહુલ ગાંધીએ આંટી ના પહેરી
રાહુલ ગાંધી વડોદરા એરપોર્ટ પર કોંગ્રેસના હોદ્દેદારોને મળ્યા હતા, જ્યાં શહેર કોંગ્રેસ-પ્રમુખ ઋત્વિજ જોશીએ તેમને સૂતરની આંટી પહેરાવવા પ્રયાસ કર્યો હતો. બે-બે વાર પ્રયાસ છતાં રાહુલ ગાંધીએ આંટી પહેરી ન હતી. ભાજપના પ્રદેશ પ્રવક્તા અને પૂર્વ મેયર ભરત ડાંગરે સોશિયલ મીડિયા પર વીડિયો મૂકતાં લખ્યું છે કે મહાત્મા ગાંધીની અટક ધારણ કરીને વર્ષો સુધી જે પરિવારે દેશ પર હકૂમત ચલાવી તેમના દીકરાને પૂજ્ય બાપુની પ્રિય ખાદીની આંટી પહેરવામાં પણ તકલીફ છે? એ પણ ગુજરાતમાં? રાહુલ ગાંધીના રેલિંગ પર સૂતરની આંટી છોડી મૂકવાના વીડિયો પર લખતાં ભરત ડાંગરે જણાવ્યું, સત્તા માટે ગાંધીજીની અટક ધારણ કરનારે બાપુની પ્રિય સૂતરની આંટી પહેરી તો નહીં, પરંતુ પગથિયાં પર ફેંકીને બાપુનું અપમાન કર્યું છે. સત્તા લાલચુ કોંગ્રેસ માફી માગે.
ભાજપને દુખે છે પેટ અને કૂટે છે માથું, દાહોદમાં મળેલો જન પ્રતિસાદ પચતો નથી
આ અંગે દાહોદ શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે દાહોદમાં સત્યાગ્રહ રેલીમાં આદિવાસી તથા અન્ય સમાજ જે રીતે જોડાયા અને જે સફળતા મળી એ ભાજપના લોકોથી જોવાતું નથી. જેમણે ટ્વીટ કર્યું છે, તેમને વડોદરા ભાજપમાં કોઈ પૂછતું નથી, તેમની પાસે કોઈ હોદ્દો નથી. માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે સ્ટેટમેન્ટ આપ્યું છે. ગોડસેની ભક્તિ કરનારા અમને બાપુ વિશે સૂચન ન આપે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.