હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.15 માર્ચ થી તા.19 માર્ચ દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેવા કે અમદાવાદ, વડોદરા અને દાહોદમાં પવન સાથે કમોસમી માવઠું કે છુટાછવાયા તેમજ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે દાહોદ પાસે ગામડાઓમા વરસાદ શરુ થતા દોડધામ મચી ગઈ હતી.
દાહોદમાં વાદળો છવાયા,પવન ફૂંકાયો
ગુજરાતમા હોળી સમયે પણ ઘણાં વિસ્તારોમાં માવઠું થયું હતું.તે પહેલા પણ એક વાર માવઠું થઈ ચુક્યુ છે.ત્યારે ફરીથી વરસાદની પાંચ દિવસની આગાહી કરવામા આવી છે.જેના પગલે ખાસ કરીને દાહોદ જિલ્લામા ખેડૂતો ચિંતિત થયા છે. આગાહી પ્રમાણે દાહોદ જિલ્લામા બપોરે એકાએક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો.એકાએક જ તડકો ગુમ થઈ ગયો હતો અને વાદળ છવાઈ ગયા હતા.ધીમા પવનો પણ ફુંકાવા લાગ્યા હતા અને થોડી જ મિનિટોમા દાહોદ શહેરમા છુટક છાંટા પડ્યા હતા અને શહેરની પાસે આવેલા જેકોટ, રામપુરામાં ઝાપટું પડ્યુ હતુ.જેથી જે ખેડૂતોનુ અનાજ ખુલ્લામા મુકેલુ હતુ તેવા પરિવારોમા દોડાદોડ થઈ ગઈ હતી.
નુકસાનીથી બચવા આગોતરુ આયોજન કરો
કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રી થી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે.
ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામા આવ્યો
એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – 18001801551નો સંપર્ક કરવો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.