સંતરામપુરના વતની અને દાહોદ જિલ્લામાં ફરજાધિન મે માસમાં નિવૃત થનારા શિક્ષક પાસેથી પેન્શન કેસના કાગળોમાં કોઇ લેણા બાકી ન હોવા બાબતના પ્રમાણપત્રમાં સહી કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કાજલબેન દવેએ 10 હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી. આ મામલે એસીબીએ ગોઠવેલી ટ્રેપમાં લાંચ લેતાં કાજલ દવે ગુરુવારે પકડાતાં ખળભળાટ મચી ગયો હતો. દાહોદ એસીબીએ આ મામલે ગુનો દાખલ કરીને કોરોનાના ટેસ્ટ બાદ તેમની ધરપકડ કરી છે.
બીજી તરફ લાંચ લેતાં પકડાયેલા જિલ્લા શિક્ષણાધિકારી કાજલ દવેની અપ્રમાણસર મિલ્કતની તપાસ માટે એસીબીની ખાસ ટીમે હિંમતનગર ના ઘરે અને દાહોદમાં સરકારી ક્વાર્ટસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જોકે, ત્યાંથી શું મળ્યુ છે તે જાણવા મળ્યુ નથી પરંતુ આ સર્ચ ઓપરેશનનો અહેવાલ એસીબીના નિયામકને મોકલવામાં આવનાર હોવાનું જાણવા મળ્યુ છે. આ સાથે શનિવારે એસીબી શિક્ષણાધિકારી કાજલ દવેને દાહોદમાં ત્રીજા એડિશનલ જજ સામે રજૂ કરીને અપ્રમાણસર મિલ્કત સહિતની અન્ય તપાસના વિવિધ મુદ્દે રિમાન્ડની માગણી કરશે. બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી હોવાથી હાલમાં જિલ્લા શિક્ષણાધિકારી તરીકેનો ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખને સોંપવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.