દાહોદ તાલુકાના જુનાપાણી ગામે ધર્મ પરિવર્તનની વાત નહીં સ્વિકારનાર વ્યક્તિ ઉપર હુમલો કરવાનો બનાવ 2019માં બન્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ત્રણ હુમલાખોરોને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
જુનાપાણી ગામે વર્ષ 2019માં દીલીપભાઇ ડામોર, શનુભાઇ ડામોર અને જોગડાભાઇ ડામોરે ગામના નરેશભાઇ માવીને કહેલ કે તુ અમારા ખ્રિસ્તી ધર્મમાં કેમ નથી આવતો અને દેવળ બનાવવામાં સહયોગ નથી કરતો. તેના પ્રત્યુતરમાં નરેશભાઇએ ખ્રિસ્તી ધર્મમાં આવવાની ના પાડતા ત્રણેએ ભેગા મળીને ગાળો બોલી માથાના કપાળના ભાગે પથ્થરો મારી ઇજા પહોંચાડી હતી.
જેથી આ મામલે ત્રણે સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ કેસ દાહોદના ચોથા એડિશનલ એસ.એલ.રબારીની કોર્ટમાં ચાલી ગયો હતો. કોર્ટે દીલીપભાઇ, શનુભાઇ અને જોગડાભાઇને ઇપીકો 323 હેઠળના ગુનાની તહોમતમાં સીઆરપીસી કલ 248(2) મુજબ તકસીરવાન ઠરાવીને ધી પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ,1958ની કલમ-3 મુજબનો લાભ આપીને આ પછીથી ભવિષ્યમાં આવો કોઇ ગુનો ન કરવાનો ઠપકો આપીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.જોકે, સરકારી વકીલ મહેન્દ્રકુમાર બારીયાની ધારદાર દલીલોને માન્ય રાખી ત્રણે આરોપીઓને ઇજા પામનાર નરેશભાઇ વળતર પેટે પાંચ હજાર રૂપિયા આપવાનો હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.