ખેડૂતો ચિંતિત:કમોસમી વરસાદથી ફતેપુરા અને ગરબાડા પંથક ભીંજાયો

ગરબાડા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડુતોએ ખેતરમાં પડેલો પાક ઢાંક્યો : શહેરમાં તાપમાન 33 ડિગ્રી રહ્યું

દાહોદ જિલ્લામાં વરસાદની આગાહીને પગલે શનિવારના રોજ જિલ્લાના ગરબાડા અને ફતેપુરા તાલુકામાં તેની અસર જોવા મળી હતી. ફતેપુરા તાલુકા મથક સહિત કેટલાંક વિસ્તારોમાં પરોઢના સમયે વરસાદ તૂટી પડ્યો હતો. જોકે, ઝાઝો સમય વરસાદ રહ્યો ન હતો પરંતુ નેવા આવી જવા સાથે રસ્તા ભીના થઇ ગયા હતાં. આ સાથે ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામમાં બપોરના સમયે વરસાદ પડતાં રસ્તા ભીના થઇ ગયા હતાં.

આસપાસાના ગામોમાં પણ સામાન્ય છાંટા નોંધાયા હતાં. આ બે સ્થળ સિવાય આખા જિલ્લામાં ક્યાંય વરસાદ પડ્યો હોવાનું નોંધાયુ ન હતું. દાહોદ શહેર સહિત જિલ્લામાં સવારથી જ ગરમીએ પોતાની પકડ બનાવી રાખી હતી. દાહોદ શહેરમાં ગરમીનો પારો 33 ડિગ્રી નોંધાયો હતો. શહેર સહિત જિલ્લામાં એક કે બે વખત વાતાવરણ હળવુ વાદળછાયુ બન્યુ હોવાનું જોવા મળ્યુ હતું. બીજી તરફ ખેડુતોએ ખેતરમાં પડેલો પોતાનો પાક ઢાંકવાની જહેમત ઉઠાવી હતી.

મહીસાગરના કેટલાક વિસ્તારોમાં કમોસમી ઝાપટું પડતા ખેડૂતો ચિંતિત
લુણાવાડા. મહિસાગર જિલ્લાના છેલ્લા 2 દિવસથી વતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારે શનિવારે વહેલી સવારથી મહિસાગર જિલ્લાના વાતાવરણમાં પલટા સાથે આકાશમાં કાળા ડિબાંગ વાદળોની ફોજ અાવી ચઢી હતી. જિલ્લામાં લુણાવાડા નગર સહિત હરદાસપુર, સોનેલા, સાલાવાડા (ચારણગામ), ચારેલ, મલેકપુર, સંતરામપુર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી ઝાપટું પડ્યું હતુ. જેને લઇને રસ્તાઅો ભીના થઇ ગયા હતા. જિલ્લામાં મોટા ભાગના ખેતરોમાં ઘઉં, ચણા, બાજરી મકાઈ, દિવેલા, વાળીયારી સહિત પશુધન માટેનોં ધાસચારાને લઇને ખેડૂતો ચિંતિત બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...