ગરબાડામાં ભાભોર ફળિયામાં છ માસથી ગટરના ગંદા દૂષિત પાણીને કારણે મચ્છરોનો ત્રાસ ફેલાયો છે. તેની સામે આશ્ચર્ય વચ્ચે લોકો ડેન્ગ્યૂની લપેટમાં પણ આવી રહ્યા હોવાથી ભયની લાગણી ફેલાઇ છે. ફળિયામાં પાંચ કેસ હાલમાં પણ એક્ટિવ છે
ગરબાડામાં ભાભોર ફળિયામાં 70થી 80 ઘરો આવેલા છે. આ ફળિયામાં પાછલા છ માસથી ગટરના ગંદા દૂષિત પાણી રોડ પર વહેતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. રહીશો દ્વારા પંચાયતને રજૂઆત કરવા છતાં પણ ગંદુ પાણી બંધ કર્યુ નથી. આ સાથે મચ્છરોનો ત્રાસ પણ વધ્યો છે. આશ્ચર્ય વચ્ચે આ ફળિયામાં લોકો ડેન્ગ્યૂનો શિકાર બની રહ્યા હોવાથી ભયની લાગણી ફેલાઇ ગઇ છે. પાંચેક લોકો સદભાગ્યે સાજા થઇ ગયા છે જ્યારે પાંચ લોકો હજી પણ ડેન્ગ્યૂના ભરડામાં હોવાનું જાણવા મળ્યું છે.
ફળિયાના રહીશો દ્વારા ગ્રામ પંચાયતમાં લેખિત અરજી પણ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે ગરબાડામાં ગટરો પર પતરાના કેબીનો બનાવી દેતા આ કેબિનો નીચેથી ગટરનું ગંદુ પાણી આરસીસી રોડ પર વહેતું થયું છે જેની જાણ રહીશો દ્વારા સરપંચ તલાટી મંત્રી અનેક વાર કર્યા છતાં આ ગંદુ પાણી રોડ પર ફેલાતો રોકવા કાર્યવાહી કરી નથી. જેના કારણે આજે ઘરે ઘરે ડેન્ગ્યુના કેસ ફળિયામાં આવતા લોકોએ આક્રોશ ફેલાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.