સંખેડા તાલુકાના સણોલી ગામે કૂતરાએ ઘર આંગણે બેઠેલા બાળકને બટકા ભર્યા હતા. ગામમાં હડકાયા કૂતરાના આતંકથી ગ્રામજનો પરેશાન બન્યા છે. એક અઠવાડીયામાં હડકવાના કારણે છ જેટલી ગાયો પણ મરી ગઇ છે. પશુ દવાખાના દ્વારા વેક્સીનેશન માટેની કાર્યવાહી શરૂ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઇ છે. સંખેડા તાલુકાના છેવાડે આવેલા સણોલી ગામે ગુરુવારે સવારે એક બાળક ઘર આંગણે હતો. તે વખતે તેને એક કૂતરાએ પીઠના પાછળના ભાગે બટકા ભરી દીધા હતા.
ઇજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે સંખેડા રેફરલ હોસ્પીટલમાં લાવવામાં આવ્યો હતો. જે બાળકને કૂતરાએ બટકા ભર્યા હતા. તેના પિતાએ જણાવ્યું હતું કે, ‘મારા છોકરાને સવારે 7:30 વાગ્યાના અરસામાં બટકા ભર્યા હતા. ગામમાં પણ હડકાયા કૂતરાનો આતંતક છે.’ જોકે સણોલી ગામમાં હડકવાના કારણે છ જેટલી ગાયોના મૃત્યુ થયા છે. આ બાબતે સણોલી ગામના સરપંચ જેંતીભાઇએ જણાવ્યું હતું કે, ‘છેલ્લા એક અઠવાડીયામાં સણોલી ગામ અને વસાહતમાં થઇને છ જેટલી ગાયોના મૃત્યુ થયા છે.
આ બાબતે ડોકટરોની ટીમ પણ આવીને તપાસ કરી ગઇ છે.’ સંખેડા વેટરનરી ડો.ડી.જે. પટેલનો ટેલિફોનીક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, ‘સણોલીમાં છ જેટલી ગાયોના મૃત્યુ હડકવાના કારણે થયા છે. જેથી તેની રસી મુકવાની કામગીરી શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જેમના ઘરે ગાયના હડકવાના કારણે મૃત્યુ થયા છે. તેમના ઘરે બાકીના પશુઓને રસી મુકવામાં આવનાર છે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.