નસવાડી તાલુકાના કુકરદા ગામમાં નરેગા યોજના અંતર્ગત કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેની એક મહિના પહેલા કરવામાં આવેલ રજૂઆતના સંદર્ભમાં તંત્ર દ્વારા ખોટો રિપોર્ટ રજૂ કર્યાના આક્ષેપ ગ્રામજનોએ કરીને જીલ્લા વિકાસ અધિકારીને લેખીતમાં રજૂઆત કરી હતી.
જીલ્લા વિકાસ અધિકારીને એક મહિના પહેલા આવેદનપત્ર આપ્યું હતું
છોટા ઉદેપુર જીલ્લા નરેગા યોજના અંતર્ગત મોટાપાયે કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. જે અંગેના આક્ષેપ વારંવાર ઠેર ઠેર થઈ રહ્યા છે. ત્યારે નસવાડી તાલુકાના કુકરદા ગામમાં પણ નરેગા યોજના અંતર્ગત મોટાપાયે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ જીલ્લા વિકાસ અધિકારીને એક મહિના પહેલા આવેદનપત્ર આપ્યું હતું. જા શાળામાં ભણતા બાળકોને નરેગા યોજનામાં મજૂર બતાવીને રૂપિયા ઉપાડી લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કેટલાક ખેડૂતોની જમીન લેવલીંગના કામ કર્યા વિના જ રૂપિયા ઉપાડી લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
પુરાવા સાથે જીલ્લા વિકાસ અધિકારીને મળીને રજૂઆત
આ આવેદનપત્ર આપ્યા પછી તપાસ માટે ગામમાં કોઈ આવ્યું ન હતું. તેમ છતાં જમીન લેવલીંગ થયું છે તેવો રિપોર્ટ આપી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. જેને લઇને ગ્રામજનો ફરીથી આ જમીન લેવલીંગ નથી કર્યાના પુરાવા સાથે જીલ્લા વિકાસ અધિકારીને મળીને રજૂઆત કરી હોવાનું જણાવી રહ્યા છે. આ મુદ્દે જીલ્લા વિકાસ અધિકારીએ બે ત્રણ દિવસમાં જીલ્લાની ટીમ મોકલીને તપાસ કરાવવાની વાત કહી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.