સંખેડા તાલુકાના પિપળસઠ ગામની રેતીની લીઝ માલિક દ્વારા ગેરકાયદે રેતી ખનન દ્વારા કરવામાં આવેલા ખાડામાં આજે બપોરે 5 વર્ષીય બાળકી ડૂબી જતાં તેનું મોત થયું છે. સંખેડા તાલુકાના પિપળસઠ ગામમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં 4 જેટલી રેતીની લીઝ આવેલી છે, જ્યાં એક રેતીની લીઝ ધારક દ્વારા પિલર બહાર રેતીનું ખોદકામ કરીને ઊંડા ખાડા કરી દેવામાં આવ્યા છે.
આજે બપોરના સમયે પિપળસઠ ગામના જ જગદીશ બારીયા ઢોર ચરાવીને ઘરે પરત ફર્યા હતા. ત્યારે પાંચ વર્ષીય દીકરી ઘરે ન જોતા શોધવા લાગ્યા, શોધતાં શોધતાં ઓરસંગ નદીમાં જઈને જોતા રેતીની લીઝના ઊંડા ખાડામાં ભરાયેલા પાણી ઉપર દિકરી તરતી નજરે પડતાં જગદીશભાઈએ તેને પાણીમાંથી બહાર કાઢી હલન ચલન કરાવી જોતા તે હલન ચલણ કરતી ન હતી. મારણ થઈ ગયાનું જણાતા ફોન કરીને જગદીશભાઈએ પોતાના માતાપિતાને ઘટના સ્થળે બોલાવ્યા હતા. તે સાથે ગામના લોકો પણ આવી ગયા હતા.
પીપળસઠ ગામે રેતીની લીઝના સંચાલક દ્વારા ગેરકાયદે રેતી ખનન કર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું હતુ. તેના ઊંડા ખાડામાં આ બાળકી ડૂબી જતાં તેનું મોત થયું હોવાનું જણાઈ રહ્યું છે.
મહત્વની વાત એ છે કે ઓરસંગ નદીમાં આવેલી આ લીઝમાં પિલર બહારથી રેતીનું ખોદકામ કરવામાં આવ્યું હોવા છતાંય ખાણ ખનિજ વિભાગ દ્વારા આવા રેતી માફિયા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેનો ભોગ આજે માસૂમ દીકરી બની છે. જેથી આવા બેફામ અને ગેરકાયદે રેતી ખનન કરતા રેતી માફિયા વિરૂદ્ધ ખાણ ખનિજ વિભાગ પગલાં ભરે તેવી માગ સ્થાનિક લોકો કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.