છોટાઉદેપુર નગરમાં આવેલ જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલના વોર્ડમાં પૂરતા પંખા ન હોવાથી હાલમાં ચાલી રહેલ કાળઝાળ ગરમીના કારણે હોસ્પિટલમાં દાખલ કરેલ દર્દીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભારે ગરમીના કારણે અનેક બીમારીઓથી પીડાતા દર્દીઓને દાખલ તો કરી દેવામાં આવે છે પરંતુ પ્રાથમિક સુવિધાના અભાવને કારણે દર્દીએ ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે. હવે જોવાનુ એ રહ્યું કે ઉનાળો પૂરો થશે પછી પંખા લગાડવામાં આવશે કે કેમ તે એક પ્રશ્ન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે નવી બનાવવામાં આવી છે, જેને ભરપૂર આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. પરંતુ પ્રાથમિક અત્યંત જરૂરી સુવિધાઓનો અભાવ જણાઈ રહ્યો છે. હોસ્પિટલમાં ઉપરના ભાગે જનરલ વોર્ડમાં 8 બેડ અને માત્ર બે જ પંખા છે. જેથી વિચારી શકાય કે હાલમાં પડતી ગરમીમાં દર્દીની શું હાલત થતી હશે. ગરમીના કારણે વધુ બીમાર થઈ જતો હશે તેમ લાગી રહ્યું છે. જિલ્લા મથકે આવેલું જનરલ હોસ્પિટલમાં મોટે ભાગે ગરીબ આદિવાસી સારવાર લેવા અર્થે આવતો હોય છે.
પરંતુ ગરમીથી બચાવ અર્થે પંખા ન હોય એ નવાઈ ભરી વાત છે. એસી ચેમ્બરમાં બેસી અધિકારીઓ આદેશ કરતા હોય પરંતુ ગરીબ પ્રજાની સુ હાલત હોય છે તેને સ્થળ ઉપર જઇ ચકાસવી જોઈએ તેમ પ્રજા ઈચ્છી રહી છે. છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ડૉક્ટરો પણ નથી. દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં જવું પડે છે અને નાણાં ખર્ચીને સારવાર કરાવવી પડે છે. જે ગરીબ આદિવાસીને પોષાય તેમ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.