નસવાડી તાલુકાના ભગવાનપુરા માઇનોર કેનાલમા પાણી છોડતા સિંધીકુવાના ખેડૂતોના ઉભા પાકમાં પાણી ભરાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને ખેતરમાં ઊભેલો પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
કેનાલમાં પાણી છોડતા ઉભા પાકને નુકશાન
છોટાઉદેપુર જીલ્લાના નસવાડી નજીક આવેલ સિંધીકુવા ગામના ખેડૂતો ચોમાસા બાદ લાખો રૂપિયાનો ખેતીમાં ખર્ચ કરી મકાઈ, દિવેલાના પાકની વાવણી કરી હતી. આ વાવેલા મકાઈ અને દિવેલાના છોડ માંડ જમીનમાંથી બહાર નીકળ્યા હતા. તેવા સમયે જ બાજુમાંથી પસાર થતી ભગવાનપુરા માઈનોર કેનાલમાં મોટી માત્રમાં પાણી છોડવામાં આવતા લીકેજ કેનાલને પગલે સીધીકુવા ગામના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા.
નર્મદા નિગમના અધિકારીઓ સામે રોષ
ખેતરમાં પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્યો સર્જાયા હતા. મકાઈ અને દિવેલાના ઉગેલ નાના છોડ પાણીમાં ડૂબી ગયા હોવાથી ઊભો પાક નિષ્ફળ જાય તેવી ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે. સાથે કેનાલની સફાઈ થતી નથી અને આડેધડ પાણી છોડવામાં આવે છે, જેમાં ફક્ત ખેડૂતોને નુકસાન જાય છે. જેને લઈ ખેડૂતોમાં નર્મદા નિગમના અધિકારીઓ સામે રોષ જોવા મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.