સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ધુળેટી પર્વ નિમિત્તે ભવ્ય દિવ્ય રંગોત્સવ ઉજવાયો હજારોની સંખ્યામાં હરિભક્તોએ આ ઉત્સવનો લાભ લીધો હતો. સંતોએ 25000 કિલો રંગ સાથે હરિભક્તો સાથે દાદાના સાનિધ્યમાં રંગોત્સવની મજા લીધી.
બોટાદ જિલ્લાનું બરવાળા તાલુકામાં આવેલું વિશ્વપ્રસિદ્ધ અને સુવિચાર એવું શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ કે જ્યાં દરેક તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા બીજા વર્ષે ધુળેટી પર્વની ધામધૂમથી દિવ્ય રંગોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવેલી.
સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે આજે મંદિરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી તેમજ કોઠારી વિવેક સાગર સ્વામીના સંપૂર્ણ આયોજન અને માર્ગદર્શન હેઠળ હનુમાનજી મંદિર ખાતે ભવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવેલું. જેમાં નાસિક ઢોલ અને ડીજેના તાલે 25,000 કિલો કલર તેમજ હવામાં કલરના બ્લાસ્ટ સાથે હરિભક્તો સાથે સંતોએ દાદાના ધામમાં રંગોત્સવની ઉજવણી કરી હતી.
સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે આજે ધુળેટી પર્વ નિમિત્તે યોજાયેલ રંગોત્સવ કાર્યક્રમમાં દેશ અને વિદેશથી હજારોની સંખ્યામાં આવેલા હરિભક્તોએ આજે દાદાના દરબારમાં ઉજવાયેલ આ રંગોત્સવનો અનોખો લાભ લીધો. સંતો સાથે દાદાના દરબારમાં હરિભક્તોએ રંગોત્સવની ઉજવણી કરતા આનંદની લાગણી અનુભવી તો મંદિર પરિસર પણ જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.