નખત્રાણા તાલુકાના ઝાલુ ગામે દસ દિવસ પહેલાં મજૂરીકામે જવાના પિતાના હુકમનો અનાદર કરનારી સગીર દીકરીને લોખંડની પાઇપથી બેરહેમીથી માર મારતાં પગમાં ઇજાઓ થઈ હતી ઇજાને કારણે પગમાં રસી-ઇન્ફેક્શન થઇ જતાં સગીરાનો પગ કાપવો પડ્યો હતો. દીકરી પર જુલમ ગુજારનારા કાકા વિરુદ્ધ ભત્રીજાએ નિરોણા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. ઝાલુ ગામે રહેતા લખાના કેશરખાન જતએ નિરોણા પોલીસ મથકમાં તેમના કાકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
કાકાએ જૂઠું બોલી વાત ફેરવી હતી
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, સોમવારે બપોરે ઝાલુ ગામે કાકાના ઘરે ગયો હતો ત્યારે કાકાની દીકરી અછીબાઇ ખાટલા પર કણસતી હાલતમાં રાડારાડ કરતી હતી, જેથી મેં મારા કાકા ઉમરખાન હાજી રમજાન જતને પૂછ્યું કે આછીબાઇને શું થયું છે, તેના હાથ-પથમાં સોજા કેમ ચડી ગયા છે. તો તેમણે જણાવ્યું કે રમતાં રમતાં પડી જવાથી ઇજાઓ થઈ છે.
લોખંડની પાઇપથી માર માર્યો હતો
બાદમાં કુંટુબીંઓને ભેગા કરી આછીબાઇને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે તેમના પિતા ઉમરખાને ગત 1 ઓગસ્ટના મજૂરીકામે જવાનું કહ્યું હતું, જેની મે ના કહેતાં ઉશ્કેરાઇને હાથ-પગ પર લોખંડની પાઇપથી માર માર્યો હતો, જેને કારણે ઇજાઓ થઇ છે. જેથી ફરિયાદી કાકાઇ બહેનને 108 એમ્બ્યુલન્સ મારફત જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. આછીબાઇના પગમાં રસી થઇ આવતાં સગીરાનો પગ કાપવો પડ્યો હતો. બનાવ અંગે નિરોણા પોલીસ મથકમાં લખના જતે કાકા ઉમરખાન વિરુદ્ધ આઈપીસીની કલમ 323 324 226 તળે ફરિયાદ નોંધાવતાં પોલીસે બનાવની નોંધ લઇ તપાસ કરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.