વન મહોત્સવ અંતર્ગત 8 મહાનગરો, 33 જિલ્લામાં, 250 તાલુકામાં તેમજ 5200 ગ્રામીણ કક્ષાએ વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે અન્વયે કચ્છ જિલ્લાનો 72 મો વન મહોત્સવ શિક્ષણ, ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો,મીઠા ઉદ્યોગો, ગૌ-સંવર્ધન અને નાગરિક ઉડયન મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર રાજ્યમાં 10 કરોડ અને 10 લાખ વૃક્ષોના રોપાનું વિતરણ થવાનુ છે. કોરોના મહામારીમાં લોકોને પ્રાણવાયુ(ઓક્સિજન)ની કિંમત સમજાઇ છે. આજે પ્રદુષણના કારણે ઋતુચક્ર ખોરવાયું છે જેના કારણે કુદરતી આપદાઓનું પ્રમાણ પણ વધ્યું છે. જેથી પ્રદૂષણને અટકાવવા માટે વૃક્ષારોપણ ખૂબ જ અનિવાર્ય છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, છોડમાં રણછોડ વગેરે જેવા વિચારો પ્રકુતિ અને વૃક્ષોને ધર્મ સાથે જોડી તેનું સંવર્ધન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આપણા પૂર્વજોએ આસોપાલવ, પીપળો, આંબો, લીમડો, તુલસી વગેરે જેવા વૃક્ષો અને છોડવા જે આપણી પ્રકૃતિ અને આપણા સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા છે તેમને ધર્મમાં વ્રત-પૂજા વગેરે સાથે જોડી તેનું સવર્ધન કરવા પ્રયાસો કર્યા હતા જેનું આજે પણ આપણે અનુસરણ કરી રહ્યા છીએ. ઉપરાંત દરેક વ્યક્તિ વૃક્ષ વાવે અને બાળકની જેમ તેની કાળજી રાખી ઉછેર કરે તેવું આહવાન પણ તેમણે આ તકે કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ વલસાડના ઉમરગામ તાલુકાના કલગામ થી વરચ્યુઅલી જોડાયા હતા. આ પ્રસંગે લાભાર્થીઓને ડી.સી.પી. ચેક ,પ્રશસ્તિ પત્ર તેમજ નિર્ધુમ ચુલાનું મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યુ હતું તેમજ વૃક્ષારોપણ પણ આ પ્રસંગે કરવામાં આવ્યુ હતુ. ઉપરાંત ઔષધિય વૃક્ષ રથને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન નાયબ વન સંરક્ષક એસ.એસ.મુંજાવરે કર્યું હતું જ્યારે આભારવિધિ આર.એફ.ઓ – અંજાર પ્રવિણ જાદવે કરી હતી. કાર્યક્રમનું સંચાલન પ.વ. અધિકારી શૈલેન્દ્ર ચોકસીએ કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા,માંડવી મુન્દ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કુકડસર સરપંચ શંકરભાઈ રબારી, જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે,કચ્છ વર્તુળ મુખ્યવન અધિકારી અનિતા કર્ણ, મુન્દ્રા પ્રાંત અધિકારી કે.જી.ચૌધરી, જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. બી.એન.પ્રજાપતિ તથા અગ્રણી અનિરુદ્ધભાઈ દવે, વિશ્રામભાઈ ગઢવી, પ્રદ્યુમનસિંહ જાડેજા, મુન્દ્રા નગરપતિ કિશોરસિંહ પરમાર, મહેન્દ્રસિંહ જામ તથા ભુવા નાગજીભાઈ તથા જેસાભાઈ લખમીર ઉપરાંત લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.