ભુજ તાલુકા લોડાઇમાં કંઢીવાળા મોમાઇ માતાજી મંદિરે 800 ઊંટ સાથે પશુપાલકોએ દર્શન કર્યા હતા અને રાત્રિ રોકાણ બાદ સવારે પરત ફર્યા હતા. સવાસો વર્ષ જૂની પરંપરા મુજબ ચૈત્ર સુદ 14 ના દિવસે લોડાઈ ખાતે કાસમતી ડેમ નજીક કંઢી વાળા મોમાઈ માતાજીના સ્થાનકે પશુપાલકો ઊંટ સાથે દર્શનાર્થે આવતા હોય છે.
ઊંટપાલકોની માન્યતા મુજબ વર્ષમાં એક દિવસ માતાજીના સાનિધ્યમાં ઊંટોને લાવ્યા બાદ તેમાં આવતો રોગચાળો મટી જાય છે અને પશુધનમાં વૃદ્ધિ થાય છે. ઢોરી કેન્દ્ર ઉપરાંત સણોસરા,મુન્દ્રા તાલુકાના ભોપાની વાંઢ,નખત્રાણા તાલુકાના વડુવા વિસ્તારના ઊંટપાલકો પણ પોતાના ઊંટ સાથે અહીં આવતા હોય છે. ઢોરી કેન્દ્રના 342 ઊંટ કે, જે હાલે બન્નીના ભગાડિયામાં આશ્રિત છે તે સહિત 800 જેટલા ઊંટોએ અહીં રાત્રિ રોકાણ કર્યું હતું.
રાજાશાહી વખતે બનાવવામાં આવેલા ઢોરી ઊંટ ઉછેર કેન્દ્રના ઊંટ જે બન્નીના ભગાડિયા ખાતે ઉછરી રહ્યા છે તે 342 ઊંટ શનિવારના સવારે ફરી ભગાડિયા તરફ જવા રવાના થયા હતા. અહીં રાત્રિ દરમ્યાન ઊંટના દૂધની ખીરનો પ્રસાદ બનાવવામાં આવે છે અને ઊંટપાલકોના પરિવારજનો સહિત આસપાસના લોકો માતાજીના દર્શન સાથે પ્રસાદનો લાભ લે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.