ખડીર વિસ્તારમાં શિયાળુ રોકડિયા પાક તરીકે જીરૂનો મબલખ પાક લેવામાં આવે છે. રણ વચ્ચેનો વિસ્તાર હોતાં સૂકું અને ઠાર રહિત વાતાવરણ આ પાક માટે અનુકૂળ છે. જેને પગલે અમરાપરના કિસાને વાવેલુ જીરૂ ઉંઝાની બજારમાં એક મણ (40 કિલો)ના 10,664 રૂપિયાના વિક્રમી ભાવે વેચાયું હતું.
અમરાપરના ધરતીપુત્ર માદેવા મેરામણ પટેલ (આહિર) છેલ્લા 13 વર્ષથી જીરૂનું વાવેતર કરે છે. તેમના કહેવા મુજબ પાકમાં રોગ ન આવતાં સતત પાક્યા કરે છે. ખેતરમાં મીઠા પાણીની સુવિધા હોતાં ક્યારેક જ દુકાળ નડે છે. તાજેતરમાં તેમણે 27 મણ જીરૂ ઉંઝાની બજારમાં વેચવા કાઢ્યું હતું.
રાજસ્થાન અને ગુજરાતમાં વિક્રમી કહી શકાય તેટલો 40 કિલોના 10,664 રૂપિયા ભાવ મળ્યો હતો. બંને રાજ્યોમાં આ દામ વિક્રમી કહી શકાય તેમ ઉંઝાની બજારના વેપારીઓએ પણ જણાવ્યું હતું. આ ખેડૂતને જીરૂના પાકમાંથી અંદાજે 20 લાખની ઉપજ થવાની સંભાવના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.