મુન્દ્રા તાલુકાના ટોડા રોડ પર આવેલા જૈન સમાજના મંદિર અરનાથધામ મધ્યેની દાનપેટીમાંથી અજાણ્યો તસ્કર 30 હજારની ચોરી કરી જતા ફરિયાદ નોંધાઇ છે. મુંબઈ ખાતે વસવાટ કરતા અને અરનાથધામ ખાતે ટ્રસ્ટી તરીકે સેવા બજાવતા વસંતભાઈ મેઘજીભાઈ ગાલા (ઉ.વ.62)ની ફરિયાદ મુજબ તેઓ છેલ્લા ત્રણ દિવસથી ટોડા સ્થિત અરનાથધામ ખાતે સેવા આપવા આવ્યા હતા.તે દરમ્યાન ગત રાત્રીએ બનેલ બનાવમાં કોઈ અજાણ્યો ઈસમ મંદિરની ડાબી બાજુની બારી ખોલી અંદર પ્રવેશ્યો હતો.
અને તેમાં પડેલ ચાર જુદા જુદા ભંડારા (દાનપેટી) માંથી 30 હજાર રૂપિયાની રોકડની ચોરી કરી નાસી છૂટ્યો હતો. બનાવને પગલે મુન્દ્રા પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ચોરીનો ગુનો દર્જ કરી બનાવ સંબધિત તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચૌદ માસ અગાઉ ગુંદાલા ખાતે આવેલા સચ્ચામાતાના જૈન મંદિરમાંથી પણ તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો.જયારે સવારના પાંચ વાગે ખુલીને નવ વાગ્યે બંધ થતાં ઉપરોક્ત મંદિરને પણ કોઈ જાણભેદુએ રાત્રી દરમ્યાન નિશાન બનાવ્યું હોવાની શંકા સેવાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.