અંજારની ઝુલેલાલ સોસાયટીમાં પરિવાર સૂતો હતો અને તસ્કરોએ ધાબા ઉપરથી ઘરમાં પ્રવેશી મૂર્તિ, વાઇફાઇ ડિવાઇસ, સીસી ટીવી કેમેરા સહિત રૂ.2,000 ની ચોરીને અંજામ આપ્યો એટલું જ નહીં કારની ચાવી પણ લેતા ગયા હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.
અંજારની ઝૂલેલાલ સોસાયટીમાં રહેતા 51 વર્ષીય અરજણભાઇ સામતભાઇ અઠેવાડીયાએ નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, તા.31/7 ના રાત્રે તેમનો પરિવાર 11 વાગ્યે સૂઇ ગયા બાદ સવારે ઉઠીને જોયું તો ઘરમાં વસ્તુઓ વેર વિખેર પડી હતી. તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે ઘરના ધાબા પરનો દરવાજો તોડી અંદર પ્રવેશેલા ઇસમે જલારામ બાપાની ધાતુની મૂર્તિ ,સીસી ટીવી કેમેરા, વાઇફાઇના ડિવાઇસ મળી કુલ રૂ.2,000 ની ચોરીને તસ્કર અંજામ આપી ગયા હોવાનો ખ્યાલ આવ્યો હતો. પરંતુ સીસી ટીવી ફૂટેજમાં પ્રવેશેલા ઇસમ ઓળખાય તે પછી ફરિયાદ કરવાનું વિચાર્યું જેના કારણે આ ફરિયાદ મોડી નોંધાવી હોવાનું જણાવી તસ્કરો તેમની કારની ચાવી પણ લેતા ગયા હોવાનું જણાવ્યું હતું. ફરિયાદના આધારે પીએસઆઇ એમ.કે.વાઘેલાએ વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચોરો બેફામ બન્યા છે અને અવારનવાર ચોરીઓના બનાવો પૂર્વ કચ્છમાં બની રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.