લખપત તાલુકામાં લાંબા સમયથી ઠેર ઠેર અાડેધડ ખાનગી કંપની અને પેટા કોન્ટ્રાકટ કંપનીઅો પવનચક્કીઅોનું નિર્માણ કરી રહી છે. પવનચક્કીની કંપનીના માણસોઅે વિરાણી ગામના ખેડૂતની જાણ બહાર નોટરી સમક્ષ ખોટા સોગંદનામા રજૂ કરી જમીન પર માપણી કરાવી લીધાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખેડુત દ્વારા વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવા દયાપર પોલીસ મથકમાં અરજી અાપી હતી.
મૂળ નાની વિરાણીના ખેડુત નરશી મનજી પટેલના પાવરદાર અને દયાપર ગામના રહેવાસી મનસુખ કાનજીભાઇ પટેલે દયાપર પોલીસ મથકે અાપેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે, વીરાણીના રેવન્યુ સર્વે નંબર 234-1 વાળી જમીન રેવન્યુ રેકર્ડમાં નરસીંહ મનજી પટેલ, દમયંતીબેન નરશી પટેલ, સતીષ નરશી પટેલ તેમજ જગદીશ નરશી પટેલ અેમ ચાર વ્યક્તિઓની માલિકીની છે.
અા જમીન રજીસ્ટર દસ્તાવેજ 334 તા. 17-6-2021ના રોજ પબા નગા ચાવડા (રહે. કુવાડવા, ખંભાડીયા, જામનગર)વાળાને વેંચાણથી અાપેલ છે. જે જમીન વેંચાણ થયા બાદ તેના કબજા મુજબની માપણી કરવા પબા નગા ચાવડાઅે નોટરી સમક્ષ રૂબરૂ તા. 15-10-2021ના રોજ નરશી મનજી પટેલની ખોટી સહીઅો કરીને અા જમીનની ચતુર્દિશા માટેનું સોગંદનામું રજૂ કર્યું છે.
અામ ખોટી સહીઅો કર્યા બાદ તે સોગંદનામું ડી.આઈ. એલ. આર - ભુજ સમક્ષ સાચા તરીકે રજૂ કર્યું હતું. અા જમીન બાબતે ખોટુ સોગંદનામું કરનાર પબા નગા ચાવડાની જાણ અરજદારને થતા તેમણે અસલ નહીં પણ નકલી સોગદનામાને સાચા માલિક તરીકે ઉપયોગ કરાયો હોવાથી કાર્યવાહી કરવાની માગણી કરી હતી.
દયાપરના અરજદાર મનસુખ મૈયાત દ્વારા દયાપર પોલીસ મથકે લેખિત રજૂઅાત કરી ગુનો નોંધવા ધા નાખી હતી. ખેડુતની જાણ બહાર ગેરરીતિ અાચરી તેમજ જમીન માપણી કરાવી ખેડુતને અંધારામાં રાખીને પવનચકકી કંપની દ્વારા ખેતરમાં વીજપોલ ઊભા કરી મેટલ રોડ બનાવવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.