અંજાર તાલુકાના રતનાલ ગામ નજીક ખેત મજૂરીવકર્તા પરિવારની 9 વર્ષીય બાળકી માર્ગ ઓળંગી રહી હતી ત્યારે પુર ઝડપે આવી રહેલી ટ્રક હેઠળ તે કચડાઈ ગઈ હતી. જેથી ઘટના સ્થળ પર જ તેનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે જાહેર માર્ગ પર કમકમાટીભર્યા દ્રશ્યો સર્જાયા હતા. તો બીજી તરફ ચાલક ટ્રક મૂકી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
સ્થાનિકેથી મળતી માહિતી મુજબ શનિવારે સાંજે 6 વાગ્યાના અરસામાં રતનાલ ગામથી સાપેડા તરફ આવતા માર્ગ પર આવેલી ખાનગી કંપની સામેની એક વાડીમાં ખેત મજૂરી કરતા પરિવારની 9 વર્ષીય બાળકી બાહુબેન જેન્તીભાઈ કાનજીભાઈ ઠાકોર માર્ગ ઓળંગી રહી હતી, ત્યારે ભુજથી અંજાર તરફ જતી લિગ્નાઇટ ભરેલી જીજે 07 વી.ડબલ્યુ 9092 નંબરની ટ્રકના ચાલકે પુર ઝડપે વાહન ચલાવી બાળકીને હડફેટે લઈ લીધી હતી. ટ્રકના પાછળના ટાયરમાં આવી જતા ઘટના સ્થળ પર જ તેનું મૃત્યુ થઈ ગયું હતું.
બનાવ બાદ રાહદારીઓ ઉપરાંત રતનાલ ગામના યુવાનો તેમજ વડીલો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરાતા રતનાલ ઓ.પી.ના જમાદાર રમેશભાઈ ડાંગર તથા ભાવેશભાઈ મોતા તાત્કાલિક ઘટના સ્થળે ધસી જઈ બાળકીના મૃતદેહને પી.એમ. માટે ખસેડાયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.