તળાજા વિસ્તારનાં પાલતુ પશુઓ માટે આ વખતનો ઉનાળો આકરો રહ્યો છે. અને અધુરામા પુરુ કૃષિ અને પશુપાલન ક્ષેત્રે વિકસતા રહેલા તળાજા તાલુકામાં પશુઓની સારવાર માટે સ્થપાયેલ પાંચ પશુ દાવાખાનાઓ પૈકી ચાર કેન્દ્રોમાં ડોકટરની જગ્યા વણપુરાયેલ હોય તેમજ દરેક કેન્દ્રોમાં ડ્રેસર અને પટ્ટાવાળા સહીતની જગ્યા પણ ખાલી હોય ગ્રામ્ય વિસ્તારમાં,ખેડૂતો, માલધારીઓ,પશુપાલકોનાં દુધાળા અને અન્ય પાલતુ માલ-ઢોરની સ્વસ્થતા માટે જરૂરિયાતનાં સમયે સારવાર મળી શકતી ન હોય ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
117 ગામોના સમુહ તાલુકામાં માત્ર એક જ ડોકટરની સુવિધા તળાજા શહેર અને તાલુકાનાં 117 ગામડાઓ વચ્ચે હાલ તળાજા, ત્રાપજ, દિહોર, ઠળીયા, અને દાઠાનાં પશુ દવાખાનાઓ પૈકી માત્ર તળાજામાં જ પશુ ડોકટર કાર્યરત છે તેમજ જસપરા અને પીથલપુર ગામે આવેલ પશુ સારવાર કેન્દ્રો પૈકી પીથલપુર કેન્દ્રમાં જ પશુ ચિકિત્સકની જગ્યા પુરાયેલ છે. તાલુકાનાં ડોકટર વિહોણા ચાર કેન્દ્રોમાં અન્ય કેન્દ્રમાંથી આવતા ઇન્ચાર્જ ડોકટરથી ગાડુ ગબડાવાય છે.
તળાજા તાલુકામાં પશુપાલન અને ડેરી ઉધોગનો છેલ્લા વર્ષોમાં સતત વિકાસ થતો રહયો છે જેથી પશુઓની રખાવટ અને સારવારનું ભારે મહત્વ હોય વાતાવરણ, ખોરાક-ચારો, વગેરેમાં અનિયમિતતા આવેતો પશુઓમાં બિમારી ફેલાવા લાગે છે.
તળાજા તાલુકામાં 4 મોબાઇલ પશુ દવાખાના કાર્યરત
પશુ ડોકટરની ભરતીની પ્રક્રિયા પશુપાલન નિયામક કચેરી ગાંધીનગર દ્રારા થાય છે. તરસરા, દાઠા, જસપરા અને ઠળિયા ખાતે 4 મોબાઇલ પશુ દવાખાનાં કાર્યરત છે.જે દરેક આજુબાજુનાં 12 ગામોમાં સારવાર સેવા આપે છે જેની સેવા લેવા માટે 1962 નં નંબર ડાયલ કરવાથી સ્થાનિક રીતે સારવાર મળી શકે છે. - ડો.કે.એસ. બારૈયા, ઈન્ચાર્જ નાયબ પશુપાલન નિયામક, ભાવનગર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.