શેત્રુંજી જળાશય સિંચાઇ યોજના દ્વારા આગામી સમયમાં નહેરવાટે પાણી છોડવા માટે સિંચાઇ સલાહકાર સમિતિની મીટીંગ મળી હતી જેમાં શેત્રુંજી ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી છોડવા માટેની કવાયત કરવામાં આવી હતી.
જમણા ડાબા કાંઠા નહેર વિભાગનાં ખેડૂત આગેવાનો તથા આ વિસ્તારના પ્રજાના પ્રતિનિધિઓ, હોદ્દેદારો તેમજ આમંત્રીત પ્રતિનીધિઓ તથા શેત્રુંજી સિંચાઇ યોજનાનાં કાર્યપાલક ઇજનેર એ.એમ.બાલધિયા અને સ્ટાફ ઉપરાંત જમણા ડાબાકાંઠા સિંચાઇ સમિતાનાં પ્રમુખોની ઉપસ્થીતિમાં સિંચાઈ સલાહકાર સમિતિની મિટિંગમાં થયેલ ચર્ચા અને ઠરાવ મુજબ અને વર્ષ 2022/23 માટે તાજેતરમાં જાહેર થયેલ અધિસૂચના મુજબ ડેમમાંથી શેત્રુંજી સિંચાઈ યોજનાના વિસ્તારના ગામોના બાગાયતદારો પાસેથી પાણી લેવા માટેના ફોર્મ તા.31-12- 22 સુધીમાં મંગાવવામાં આવેલ હોવાનું જણાવેલ છે.
હાલ શેત્રુંજી જળાશયમાં સિંચાઈના હેતુસર કુલ 7,756 એમ.સી.એફ.ટી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. તે જોતા મહત્તમ 11,650 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ થઈ શકે અને તે મુજબ ઉપરોક્ત સિંચાઈ વિસ્તારના 50% વિસ્તાર 5,825 હેક્ટર જેટલી આગોત્રી સિંચાઈ અરજી સ્વીકારવામાં આવશે અને તે મુજબ પાણી છોડવાનો નિર્ણય થશે તેમ જણાવેલ છે.
જોકે શેત્રુંજી સિંચાઈ માટેની મેઇન કેનાલો અને ડિસ્ટ્રીબ્યુટરી કેનાલોમાં જંગલ કટીંગ અને સમારકામ ચાલુ હોવાનું જાણવા મળેલ છે તેથી ડેમમાંથી પિયત માટે પાણી છોડવાના નિર્ણય પહેલા સૂચિત કેનાલોની સંપૂર્ણ મરામત થઈ હોય તે અતિ આવશ્યક છે. જેના કારણે પિયત માટે પાણી છોડાયેલ પાણીનો બગાડ થયા વિના મહત્તમ સિંચાઈ થઈ શકે તેમજ પિયત આયોજનમાં છેવાડાનાં વિસ્તારને પ્રાથમીકતા આપવા ખેડૂતોનાં હિતમાં નિર્ણય લેવાની પણ જરૂરિયાત છે.
50 ટકા ફોર્મ આવ્યાથી પાણી છોડવાનો નિર્ણય થશે
શેત્રુંજય સિંચાઈ સલાહકાર સમિતિની મીટીંગ મુજબ શેત્રુંજી ડેમમાંથી 15-12- 22 ના પાણી છોડવાનો નિર્ણય થયેલ જે અનુસાર 50 ટકા ફોર્મના બદલે આજ સુધી ખેડૂત તરફથી કોઈપણ માંગણી ફોર્મ પ્રાપ્ત થયેલ નથી. ઉપરાંત પાણી છોડ્યા પહેલા નહેરોનું સમારકામ પૂરજોશમાં ચાલુ છે. > એ.એમ.બાલધીયા, ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર, શેત્રુંજી સિંચાઈ યોજના
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.