ઉનાળામાં રાજ્ય સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત જે-તે ગામોમાં તળાવ ઊંડા ઉતારવાનું કામગીરી હાથ ધરાતી હોય છે. સિહોર તાલુકાના ટાણા ગામે આ વરસે ચોમાસું નજીક આવવા છતાં આ બાબતે કોઇ નક્કર કાર્યવાહી હાથ ન ધરાતા ગ્રામજનોમાં આ બાબતે કચવાટ જોવા મળી રહ્યો છે.
તળાવો અને ચેકડેમો ઊંડા ઉતારવાથી ચોમાસામાં તળાવ કે ચેકડેમમાં પાણીનો સંગ્રહ વધારે થાય અને તેનાથી આજુબાજુના વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવે. આથી સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના શરૂ કરવામાં આવી અને આ અંતર્ગત ઘણા ગામોમાં તળાવો અને ચેકડેમ ઊંડા ઉતારવાની કામગીરી પણ હાથ ધરાઇ છે. ટાણા ગામે છેલ્લા કેટલાય વરસથી તળાવ ઊંડું ઉતારવા માટે કામગીરી હાથ ધરાતી હતી.પરંતુ આ વરસે તંત્ર દ્વારા ચોમાસું સાવ ઢૂંકડું આવી ગયું હોવા છતાં ટાણા ગામે તળાવ ઊંડું ઉતારવા માટેની કોઇ જ કાર્યવાહી હાથ ધરાઇ નથી.
ટાણા ગામે ગામના પાદરમાં તળાવમાં આવેલું છે. આ તળાવ છેલ્લા ઘણા વરસથી ઊંડું ઉતારવામાં આવતું હતું. પરંતુ આ વરસે આ કામગીરી કરાઇ નથી જેથી પાણી સંગ્રહ નહીં થતા આ વરસે જો ચોમાસાંમાં સારો વરસાદ થશે તો આજુબાજુના વાડી વિસ્તાર અને રહેણાંકી વિસ્તારના કૂવા કે બોરના તળ ઊંચા નહીં આવે.ટાણા ગ્રામ પંચાયત ટાણાના તળાવને ઊંડું ઉતારવા જરૂરી કાર્યવાહી હાથ ધરે તે જરૂરી છે.
ગ્રામપંચાયત દ્વારા માંગણી મૂકાઇ હતી
ટાણા ગામના તળાવને ઊંડું ઉતારવા માટે ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરી તાલુકા-જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવેલ. પરંતુ ઉપલી કચેરીએથી મંજૂરી ન મળતાં તળાવ ઊંડું ઉતારવાની કામગીરી થઇ શકી નથી. > પ્રકાશભાઇ ધાંધલા, તલાટી કમ-મંત્રી,ટાણા ગ્રામ પંચાયત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.